આણંદના નહેરુ બાગ નજીક ધોળા દિવસે મકાનના નકુચા તોડી 14 લાખની મતાનો હાથફેરો કર્યો:ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ
આણંદ: શહેરના નહેરૂ બાગ પાસે આવેલા એક એપાર્ટમેન્ટના મકાનમાં ગત ૨૧મી તારીખના રોજ ધોળા દહાડે ત્રાટકેલા કેટલાક તસ્કરોએ બંધ મકાનના દરવાજાના નકુચા કાઢી નાંખીને અંદર પ્રવેશ કરી ૧૪૪૦૦ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી તપાસ હાથ ધરી છે.
ચોરીની મળતી વિગતો અનુસાર ફરિયાદી સરિતાબેન આનંદકુમાર શમેરૂડકર નહેરૂ બાગ પાસે આવેલા રોશની એપાર્મેન્ટમાં રહે છે. ગત ૨૧મી તારીખના રોજ સવારના સાડા સાતેક વાગ્યાના સુમારે પોતાના મકાનને તાળુ મારીને પોતાની નોકરી પર ગયા હતા. દરમિયાન ત્રાટકેલા કેટલાક તસ્કરોએ દરવાજાના નકુચાના સ્ક્રુ કાઢી નાંખીને દરવાજો ખોલી અંદર ઘુસ્યા હતા અને બીજા રૂમમાં મુકેલી તીજોરી ખોલી તેમાં મુકેલા ૧૦૮૦૦ની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડા ૧ હજાર ચોરી લીધા હતા. ત્યારબાદ તીજોરીમાંથી પહેલા રૂમની તિજોરીના ચાવી લઈને તે ખોલી અંદરથી રોકડા ૨૬૦૦ એમ મળીને કુલ ૧૪૪૦૦ની મત્તા ચોરીને ફરાર થઈ ગયા હતા. સ્કૂલેથી ઘરે આવેલી સરીતાબેનની પુત્રીએ દરવાજો ખુલ્લો અને તિજોરીનો સામાન બધો વેરવિખેર જોતાં જ માતાને જાણ કરી હતી જેથી તેઓ આણંદ આવી પહોંચ્યા હતા અને તપાસ કરતાં ઉક્ત મત્તાની ચોરી થવા પામી હતી.