બીટીપીના સભ્યનો રસ્તાના ખાતમુહૂર્તમાં દારૂથી અભિષેક
૨૫મીના સમારોહનો વીડિયો વાયરલ થતાં વિવાદ : ડેડીયાપાડા તાલુકાના વિવિધ રસ્તાઓના ખાતમુહૂર્ત સમયે અનેક મહાનુભવો પણ હાજર હતા : ભારે વિરોધનો વંટોળ
ડેડીયાપાડા, તા. ૨૮ :ગાંધીના ગુજરાતમાં ફરી એકવાર દારૂને લઈને વિવાદ જાગ્યો છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના વિવિધ રસ્તાઓનું ગત ૨૫ ઓક્ટોબરનાં રોજ ખાતમુહૂર્ત/ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીના ગુજરાતમાં ખાતમુહૂર્તમાં દારૂથી અભિષેક કરાતા મોટો વિવાદ ઉભો થયો છે. ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુહૂર્તમાં દારૂનો અભિષેક કરવામાં આવ્યો છે અને પાછું આવું કાર્યું કોઈ સામાન્ય માણસે નહીં પણ બીટીપીના એમએલએ મહેશ વસાવાએ દારૂનો અભિષેક કર્યો છે. ભાજપના પૂર્વ એમએલએ મોતી વસાવા પણ આ સમયે હાજર રહ્યા હતા. આ ઘટના બાદ સાંસદ મનસુખ વસાવાએ અનેક મોટા સવાલ ઉઠાવ્યા છે. સોશિયલ મીડિયાના જમાનામાં હાલ આ વીડિયો વાયરલ થયો છે. પરંતુ આ વીડિયોની એજન્સી પુષ્ટિ કરતી નથી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના વિવિધ રસ્તાઓનું ગત ૨૫/૧૦/૨૦૨૦નાં રોજ ખાતમુહૂર્ત/ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્ત / ભૂમિપૂજન પ્રસંગે ડેડીયાપાડા બીટીપીના એમએલએ મહેશ વસાવા, નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન બહાદુર વસાવા, ગુજરાત પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચા પ્રમુખ અને ડેડીયાપાડાના માજી ધારાસભ્ય મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ આગેવાન અને માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકર વસાવા સહિત કોંગ્રેસના અન્ય આદીવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન રસ્તાનું ભૂમિપૂજન ખાખરાના પાનમાં દારૂના અભિષેકથી કરવામાં આવતા આ મામલે ભાજપની જ ખૂબ ટીકા થઈ રહી છે. આ ઘટના બાદ ભાજપ સાંસદ મનસુખ વસાવા નિરાશ થયા હતા. તેમણે જણાવ્યું કે, આપણે સારા પ્રશંગોએ ભૂમિપૂજન અબીલ-ગુલાલ, કંકુ-ચોખા તથા દૂધ, જળ (પાણી) થી પૂજન કરવામાં આવે છે. તેના બદલે ડેડિયાપાડામાં રસ્તાના ખાતમુર્હતમાં ખાખરના પાનમાં દારૂ લઈને લાઈનમાં ઊભા રહીને દારૂથી અભિષેક કરતા નેતાઓ જોવા મળી રહ્યા છે.
સરકાર દારૂબંધીનો કાયદો કડક બનાવે છે. વ્યસન મુક્તિ અભિયાન ચલાવે છે અને સાધુ-સંતો, ધાર્મિક સંપ્રદાયો પણ સમાજ સુધારણા માટે અને દારૂ જુગાર જેવા વ્યસનોથી દૂર રહેવા રાત-દિવસ મહેનત કરી રહ્યા છે, તો નેતાઓનો આ વ્યવહાર જોઇને આનાથી કેવો સંદેશો તેઓ આદિવાસી સમાજને આપવા માંગે છે?