ગુજરાત
News of Wednesday, 28th October 2020

૧૨૫ વર્ષ જૂના મંદિર પર તંત્રએ બુલડોઝર ચલાવ્યું

પોલીસ બંદોબસ્ત સાથે મંદિર તોડી પડાયું : અમદાવાદના એસજી હાઈવેના સિંધુ ભવન રોડ પર આવેલ મંદિર ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરાઈ

અમદાવાદ,તા.૨૮ : અમદાવાદના ખૂબ જ પોશ વિસ્તારમાં આવેલું ૧૨૫ વર્ષ જૂનું મેલડી માતાજીનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે સવારથી જ પોલીસની ટીમને સાથે રાખીને કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન અહીં ભારે વિરોધ જોવા મળ્યો હતો. મંદિરના ભુવા અને વીએચપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તંત્રએ તેમની વાત સાંભળી ન હતી અને મંદિર તોડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મંદિરના મહંતે આક્ષેપ લગાવ્યો છે કે અહીં આસપાસ આવેલા બંગલાઓના માલિકોએ અધિકારીઓને પૈસા આપ્યા હોવાથી મંદિર હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે મંદિર અન્ય જગ્યાએ ખસેડવા માટે તેમને પૂરતો સમય આપવામાં નથી આવ્યો. સાત દિવસની નોટિસમાં મંદિરને બીજે ખસેડવું શક્ય નથી. એવી પણ માહિતી મળી છે કે આ પહેલા મંદિરનો તોડવાનો ત્રણ વખત પ્રયાસ કરવામાં આવી ચૂક્યો છે.

            કોર્પોરેશન તરફથી જે મંદિર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તે મંદિર પોશ વિસ્તાર એવા સિંધુ ભવન રોડ પર આવેલું છે. આ મંદિરને કારણે અહીં ટ્રાફિકજામ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મંદિરને તોડી પાડવા માટે સાત દિવસની નોટિસ પાઠવવામાં આવી હતી. એવી પણ માહિતી મળી છે કે મંદિર માટે તંત્ર તરફથી કોઈ વૈકલ્પિક જગ્યા પણ ફાળવવામાં આવી છે. આજે સવારે એસ્ટેટ વિભાગના કર્મીઓ બુલડોઝર સાથે પહોંચતા મંદિરે હોબાળો મચી ગયો હતો. મંદિરના પૂજારીના કહેવા પ્રમાણે આ મંદિર ૧૨૫ વર્ષ જૂનું છે. તેમની ચોથી પેઢી અહીં સેવા કરી રહી છે. એસ્ટેટ વિભાગના કર્મીઓ મંદિર તોડવા પહોંચતા જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને મંદિરના પૂજારી સહિતના લોકોએ મંદિર તોડવાનો વિરોધ કર્યો હતો. મંદિરના પૂજારી મંદિર ન તૂટે તે માટે કામગીરી ચાલતી હતી ત્યાં વચ્ચે બેસી ગયા હતા. આ દરમિયાન તેમણે પોતાની જાતને ઈજા પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. મંદિરના પૂજારી તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે મંદિરને અન્ય જગ્યાએ ખસેડવા માટે તેમને પૂરતો સમય આપવામાં આવ્યો નથી. પૂજારીના કહેવા પ્રમાણે સાત દિવસમાં ઘર પણ બીજે ન ખસેડી શકાય તો મંદિર કઈ રીતે ખસેડવું? તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે આ પહેલા પણ રસ્તો બનતો હતો ત્યારે તેમણે મંદિરની જગ્યા રસ્તો બનાવવા માટે આપી હતી. આ મંદિર તેમણે રસ્તા પર નથી બનાવ્યું પરંતુ આ મંદિર છેલ્લા ૧૨૫ વર્ષથી અહીં છે. જે સમયે કાચા રસ્તા પણ ન હતા ત્યારે આ મંદિર અહીં હતું. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, મંદિર માટે જે વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે તે ખૂબ નાની છે. એ જગ્યા પર મંદિર બની શકે તેમ નથી. આ ઉપરાંત એ જગ્યામાં પણ ૧૦ ફૂટ જગ્યા કપાતમાં આવે છે. એટલે મંદિર બનાવવા માટે કોઈ જગ્યા વધતી જ નથી. સાથે જ મંદિરના પૂજારીએ આક્ષેપ લગાવ્યો હતો કે અહીં આસપાસના બંગલાના માલિકોએ આ મંદિર હટાવવા માટે અધિકારીઓને પૈસા આપ્યા છે. અમે લાચાર હોવાથી અમારી વાત કોઈ સાંભળી નથી રહ્યું.

(8:04 pm IST)