ટેકનોલોજી સાથે સંવેદના ભળીઃ CM ડેશબોર્ડનું 'જનસંવાદ કેન્દ્ર' અનેક ગરીબોની વ્હારે
સીએમ રૂપાણીના નિવાસસ્થાનેથી ફોન આવતા કેન્સરની વિનામૂલ્યે સારવાર થતા જગદીશભાઈને નવજીવન મળ્યું
અમદાવાદ,તા. ૨૮: ગાંધીનગરમાં સીએમ રૂપાણીના નિવાસે બનેલું સીએમ ડેશ બોર્ડ 'જનસંવાદ કેન્દ્ર'થકી રાજયના અનેક ગરીબ દર્દીઓને વિનામુલ્ય સારવાર મળી રહે છે. આવા જ દહેગામના જગદીશભાઇને મુખે તેમની સારવારની વાત સાંભળીએ.
'અમે છાપરાવાળા ઘરમાં રહીએ છીએ, અમે કહેવત સાંભળી હતી કે ભગવાન આપે છે તેને છાપરું ફાડીને આપે છે. આ કહેવત અમારા જીવનમાં અક્ષરશઃ સાચી પડી પડી છે. મને અઢળક આરોગ્ય સુખ મળ્યું છે.'... આ શબ્દો છે દહેગામમાં રહેતા ૪૫ વર્ષીય જગદીશભાઈ લાભશંકર ત્રિવેદીના.વાત કંઈક આમ છે, જગદીશભાઈ ત્રિવેદી તેમના નાના ભાઈ વિષ્ણુભાઈ સાથે દહેગામમાં રહે છે. મૂળ આ પરિવારનો વ્યવસાય કર્મકાંડનો છે. બન્ને ભાઈઓ અવિવાહિત હોવાથી તમામ ઘરકામ પણ જાતે જ કરે છે.
બાપ દાદાએ વારસામાં એક ઘર આપ્યું છે પરંતુ છાપરાવાળુ. એ જ પુરવાર કરે છે કે પરિવારની આર્થિક શકિત નબળી છે. જગદીશભાઈ ત્રિવેદી અગાઉ અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના રસોડામાં મજૂરીકામ કરતા હતા. પરંતુ તેમના શરીરમાં નબળાઈ ઘર કરી ગઇ હતી.
કોઈના કહેવાથી સિવિલમાં તપાસ કરાવી તો જાણવા મળ્યું કે તેમનું લીવર માત્ર ૧૨.૫ ટકા જ કામ કરે છે. પૈસા તો હતા નહીં, એટલે શરીર સાથ આપે કે ના આપે કામ તો કરવું જ પડે.
સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક તબક્કે ૧૧ બોટલ લોહી ચઢાવ્યું પરંતુ તમામ લોહી ઝાડા વાટે નીકળી ગયુ. જગદીશભાઈ બિલકુલ બેભાન અવસ્થામાં આવી ગયા હતા. ડોકટરે તેમને એન્ડોસ્કોપી કરાવવાની સલાહ આપી, પરંતુ એન્ડોસ્કોપી કરાવવાના પણ પૈસા તેમની પાસે નહોતા.
એક દિવસ મુખ્યમંત્રીના નિવાસ્થાને કાર્યરત ડેશબોર્ડના શ્નજનસંવાદ કેન્દ્ર માંથી જગદીશભાઈને ફોન આવ્યો. તેમને કહેવાયું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કેન્સર વિભાગમાં જઈને ડોકટર શશાંક પંડ્યાને મળો. તમારું તમામ નિદાન-સારવાર વિનામૂલ્યે થઈ જશે.
જગદીશભાઈ તેમના ભાઈ વિષ્ણુભાઈ સાથે કેન્સર વિભાગમાં ગયા, ડોકટરને મળ્યા તેમની એન્ડોસ્કોપી કરાવી. લીવરની નળીમાં પંચર હતું, તેનું ઓપરેશન કરાયું. ત્યારબાદ ૧૦ બોટલ લોહી ચઢાવ્યું. સમય જતા તેમને સારું થયું.
કેન્સર વિભાગના ડાયરેકટર શશાંક પંડ્યા કહે છે કે,'સી.એમ ડેશબોર્ડમાંથી સુચના આવી અને જગદીશભાઈનું નિદાન-ઓપરેશન તથા સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. સી.એમ. ડેશબોર્ડમાંથી આવા સંખ્યાબંધ કેસોની ભલામણ આવે છે અને જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર થાય છે.'
જગદીશભાઈના ભાઈ વિષ્ણુભાઈ ત્રિવેદી કહે છે કે,'મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખૂબ સંવેદનશીલ છે. તેમના સંવેદનાસભર નિર્ણયથી મારા ભાઈ જગદીશભાઈ આજે તદ્દન સ્વસ્થ બન્યા છે. અમે બંને ભાઈઓ રાજય સરકારના ઋણી છીએ. ગરીબ માણસોની પારાવાર મુશ્કેલીઓ તેઓ સમજે છે એ બહુ મોટી વાત છે. નહીં તો અમારા જેવા ગરીબ માણસોની દરકાર કોણ લે ?'
કોઈ સામેથી ફોન કરી ને કહે કે આ હોસ્પિટલમાં પહોંચી જાઓ તમારું નિદાન સારવાર વિનામૂલ્યે થઈ જશે એવું માની ન શકાય. પણ અમારા કિસ્સામાં આવું બન્યું છે એ પણ એટલું જ સત્ય છે. સલામ છે આવા મુખ્યમંત્રીને...'
ઉલ્લેખનીય છે કે સી.એમ.ડેશ બોર્ડ પરથી રાજયના એકેએક ગામ તાલુકા કે જિલ્લા પર અને વિવિધ સેવાઓ પર સીધી નજર રાખવામાં આવે છે. ટેકનોલોજી સાથે સંવેદના ભળે તો તેના સુખદ પરિણામો મળે છે તેનું ઉત્ત્।મ ઉદાહરણ એટલે જગદીશભાઈ ત્રિવેદી.