ગુજરાત
News of Wednesday, 28th October 2020

નવરાત્રી : ૨.૫૦ લાખથી વધુ ભક્ત દ્વારા માં અંબાના દર્શન

કોરોનામાં બંધ મંદિર ખોલાતા દર્શનાર્થીઓ ઉમટ્યાં : માતાજીની આરતીનું જીવંત પ્રસારણ ૧૪ દેશના ૨૯.૫૦ લાખથી વધુ ભક્તોએ માણ્યું હતું : તંત્રની સજ્જડ વ્યવસ્થા

પાલનપુર, તા. ૨૭ : પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, ઉલ્લાસ અને ભક્તિભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી યોજાઇ હતી. જેમાં ૨.૫૦ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અને  વ્યસનમુક્તિ અભિયાનમાં ૧૦૪૩ યાત્રિકોએ વ્યસનમુક્ત થવા માતાજીના ચરણોમાં સંકલ્પ લીધા હતા.

નવરાત્રિ દરમિયાન દેશ, વિદેશમાં વસતા માઇભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ સારી રીતે ગોઠવવામાં આવી હતી અને માતાજીની સવાર અને સાંજની આરતી ટ્રસ્ટની વેબસાઇટ અને સોશિયલ મીડિયા  પર જીવંત પ્રસારણ કરાયું હતું. વિશ્વના ૧૪ દેશોમાં વસતા ૨૯.૫૦ લાખથી વધુ ભક્તોએ માતાજીના ઓનલાઇન દર્શન કર્યા હતાં.

દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મળેલ વિગતો અનુસાર નવરાત્રિ દરમિયાન ૨૨,૨૫૬ યાત્રિકોએ ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનાલય ખાતે રાહતદરે ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ૧,૬૭,૭૬૨ જેટલાં પ્રસાદના પેકેટનું વિતરણ થયું હતું. આ પ્રસંગે અંબાજી ટ્રસ્ટને રૂ.૧,૩૪,૧૫,૮૨૫ ભેટ સ્વરૂપે આવક થઇ છે. નવરાત્રિ દરમિયાન માઇભક્તો તરફથી અંબાજી ટ્રસ્ટને ૧૧૨૬.૯૯૦ ગ્રામ સોનાની અને ૧૮૨૪.૮૧૦ ગ્રામ ચાંદીની દાન સ્વરૂપે પ્રાપ્ત થયું હતું. નવરાત્રિ પ્રસંગે સૌ પ્રથમ વખત અંબાજી મંદિરમાં ભવ્ય રોશની કરવામાં આવી હતી.

(9:06 pm IST)