અમદાવાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોના મુસાફરોના કોરોના ટેસ્ટિંગમાં વધુ 15 પોઝિટિવ કેસ મળ્યા
રાજધાની એક્સપ્રેસમાં સૌથી વધુ 10 કોરોના પોઝિટિવ કેસો નીકળ્યા
અમદાવાદ: અમદાવાદ આવેલી જુદી જુદી ટ્રેનોના મુસાફરોના સતત 21મા દિવસે હાથ ધરાયેલી ટેસ્ટિંગની કામગીરીમાં કુલ 15 કોરોના પોઝિટિવના કેસો મળ્યા હતા. તેમાંથી 10 તો એક માત્ર રાજધાની એકસપ્રેસમાંથી મળ્યા હતા. આમ રાજધાની એક્સપ્રેસમાંથી અન્ય બે ટ્રેનોની સરખામણીમાં વધુ કેસો મળે છે. 1366 મુસાફરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 15 કેસો મળી આવ્યા હતા. આ 28 કેસો પૈકીના 4 દર્દીઓને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે ઊભા કરવામાં આવેલા કોવીડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે 11 દર્દીઓને હોમ કવોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકાવવા માટે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા વિવિધ પગલાંઓ લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના સાતેય ઝોનમાં એક ખાસ ઝુંબેશ હેઠળ ટેસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ ટેસ્ટિંગ દરમિયાન પરપ્રાંતિય મજુરો તથા કામદારોમાં કોરોના પોઝિટિવ કેસો મોટા પ્રમાણમાં મળી આવ્યા હતા. શહેરના જુદા જુદા વિસ્તારોમાં વસવાટ કરતાં મજૂરો/કામદારોને શોધવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી.
કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસના 564 મુસાફરોનું ટેસ્ટિંગ થયું હતું. તેમાંથી 10 કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. જયારે ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 380 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 3 કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. તે જ રીતે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 422 પ્રવાસીઓની ચકાસણીમાં 2 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા.
આમ સરવાળે કુલ 1366 મુસાફરોનું દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 15 મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટિંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.