ખેતરમાં વાવેલા શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા ડીસાના માલગઢ ગામની ગૌશાળાની ૭૦૦ ગૌમાતાને શાકભાજી ખવડાવી દીધાઃ સરકાર સામે નવતર વિરોધ
અમદાવાદઃ રાજ્યના ડીસા ખાતે આવેલ માલગઢ ગામમાં રામાબાપુ કૈલાશધામ ગૌશાળાની 700 ગાય માટે ગત સપ્તાહમાં જાણે કે ઉત્સવ હોય તેમ હજારો કિલો લીલા શાકભાજી ખાવા મળ્યા હતા. ખેતરમાં ઉગેલા શાકભાજીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ શાકભાજી વેચવા કે રસ્તા પર ઢોળવાની જગ્યાએ નવતર પ્રયોગ કરીને વિરોધ દર્શાવ્યો હતો.
ફ્લાવર, રિંગણા, દૂધી સહિતા અનેક પ્રકારના શાકભાજીના ભાવ ન મળતા ખેડૂતોએ કહ્યું કે, તેમની પાસે પોતાની ખેત પેદાશ ગાયને ખવડાવવા અથવા કચરામાં નાખવા સીવાય કોઈ બીજો વિકલ્પ જ રહેતો નહોતો. જેથી તેમણે નક્કી કર્યું કે રસ્તા પર શાકભાજી ઢોળ્યા કરતા તેઓ આ શાકભાજી ગાયને ખવડાવી દેશે.
ગૌશાળાના ટ્રસ્ટી શાંતિલાલ કછવાએ કહ્યું કે, ‘ખેડૂત તરીકે જ્યારે પોતાના પાકને પોષણક્ષમ ભાવ નથી મળતા ત્યારે ખેડૂતો પોતાના ઉત્પાદનને શહેરના હોલસેલ માર્કેટ સુધી લઈ જવા માટે થતો ખર્ચો પણ તેમના માથે પડે છે. જેથી તેઓ આવા સમયે અમારી ગૌશાળા ખાતે આ શાકભાજી પધરાવી જાય છે. કેમ કે સરકારી તંત્ર તેમને જાહેરમાં આ શાકભાજી નાખવાની મંજૂરી આપતું નથી ત્યારે તેમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ રહેતો નથી.’
અહેવાલ પ્રમાણે આ ગૌશાળાની જેમ ડીસાની આસપાસ આવેલ 7 જેટલી જુદી જુદી વિશાળ ગૌશાળામાં પાછલા એક સપ્તાહથી 3-4 ટ્રક ભરીને શાકભાજી આવે છે. APMCના ડેટા મુજબ એક કિલો ફ્લાવરનો હોલસેલ ભાવ રુ.5-9 છે. જ્યારે APMC બિલ્ડિંગની બહાર તરત જ ઉભેલી રેકડીઓમાં આ જ ફ્લાવર એક કિલાના 15 રુપિયા ભાવ સાથે વેચાય છે. જ્યારે તેનાથી થોડું આગળ પાલડી સુધી પહોંચતા આ ભાવમાં કિલોએ 30% ટકા જેટલો વધારો થઈ જાય છે. તો શહેરના સેટેલાઇટ, નવરંગપુરા, બોડકદેવ જેવા પોશ વિસ્તારમાં આ ફ્લાવરનો ભાવે કિલોના 60 રુપિયા જેટલો ઉંચો છે.
આ જ રીતે સૌરાષ્ટ્રમાં આવેલ લસણના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડમાં પણ લરણના ખરીદ ભાવમાં જબરજસ્ત ઘટાડો આવ્યો છે. હોલસેલમાં લસણ રુ. 5-10ના કિલોના ભાવે ખરીદવામાં આવી રહ્યું છે. આ માટે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીનું કહેવું છે કે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં લસણનો પાક વધુ થવાથી ગુજરાતમાં પણ તેની અસર જોવા મળી છે અને અહીં લસણના ભાવ ગગડ્યા છે. જ્યારે રીટેલમાં લસણના ભાવ 60 રુપિયા કિલો છે. ખેડૂતોએ માગણી કરી રહ્યા છે કે સરકાર આમાં દરમિયાનગીરી કરીને ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવે.