ગાંધીનગરમાં આહીર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન
આહીર યુવા ફોરમનું દમદાર આયોજન : બઢતી પામેલ કર્મચારીઓને પણ ફુલડે વધાવાયા
ગાંધીનગર : કોઇપણ હોદેદારો વગરની સંસ્થા આહીર યુવા ફોરમ, ગાંધીનગર દ્વારા ગાંધીનગર આહીર સમાજના તેજસ્વી તારલાઓનો ર૦ મો સન્માન તથા સત્કાર સમારંભ તાજેતરમાં ટાઉન હોલ ખાતે યોજાઈ ગયો. કાર્યક્રમની શરૂઆતમાં નાના બાળકો તથા માજી મંત્રી દેવાણંદભાઇ સોલંકી, બીજ નિગમના અધ્યક્ષ રાજસીભાઇ જોટવા તથા અન્ય મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય બાદ આહીર સમાજના ધોરણ-૧ થી ૧ર તથા કોલેજ, યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓના ૩૮ તેજસ્વી તારલાઓને શિલ્ડ-પારીતોષિક આપીને સન્માનવામાં આવ્યા હતા. આ ઉપરાંત નવી નિમણુંક તથા બઢતી પામેલા રર કર્મચારી, અધિકારીઓ તેમજ નિવૃત્ત્। થયેલા બે અધિકારીઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે સમાજના આગેવાનોએ કરેલ પ્રાસંગિક પ્રવચનમાં આહીર સમાજની પ્રગતિ અને પ્રતિભાઓને બિરદાવીને ગુણવતાયુકત શિક્ષણ પર ભાર મુકયો હતો. ૨૦૧૮ ના ભોજન દાતા દિનેશભાઇ દેવાણંદભાઇ સોલંકી તેમજ અન્ય મહાનુભાવોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. નાના ભુલકાઓ દ્વારા યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડાન્સ-સ્પીચ જેવી કૃતિઓ રજુ થતાં સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠયો હતો. તમામ બાળકોને ગીફટ આપીને બિરદાવવામાં આવ્યા હતાં. કાર્યક્રમને સફળ બનાવવા નીતિનભાઇ ભાટીયા, લખુભાઇ જોગલ, કાળુભાઇ ગોજીયા, અશ્વિનભાઇ જાટીયા, પરબતભાઇ પોસ્તરીયા, જશુભાઇ કવાડ સહીત સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.