ગાંધીનગર :આઈબીના ઉપરી અધિકરીઓના ત્રાસ સામે ચિઠ્ઠી લખીને PSI ઘરેથી ગુમ :ડી,જી,એ આરોપ ફગાવ્યા
પીએસઆઈ સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે:40 હજાર દંડની વાત લખી છે તે મનસ્વી:એવો કોઈ દંડ કરાયો નથી
ગાંધીનગરઃ ઉચ્ચ અધિકારીઓના કથિત ત્રાસના કારણે ઘરેથી નીકળી ગયેલા ગાંધીનગર આઇબીમાં ફરજ બજાવતા પીએસઆઈ અનીલ પરમાર અંગે ઈન્ચાર્જ ડીજી ઈન્ટેલીજન્ટસ બ્યૂરો આર.બી. બ્રહ્મભટ્ટે પત્રકાર પરિષદ યોજી પીએસઆઈ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવ્યા હતા.
ગાંધીનગરમાં આઇબીમાં ફરજ બજાવતા એક પીએસઆઇ ગુમ થયા છે. ઘરેથી મળેલી ચિઠ્ઠીમાં ઉચ્ચ અધિકારીઓના ત્રાસના કારણે ઘર છોડીને ગયા હોવાનો ઉલ્લેખ કર્યો છે.
ગાંધીનગરના રાયસણમાં શુકન હાઇટ્સ ખાતે રહેતા અને ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)માં ફરજ બજાવતા પીએસઆઇ અનિલભાઇ જોધાભાઈ પરમાર 25 તારીખે સવારે 10.30 વાગ્યે તેઓ નોકરી પર જવાનું કહીને ઘેરથી નીકળ્યા હતા. મોડી રાત સુધી રાહ જોવા છતાં તેઓ ઘેર પરત ફર્યા ન હતા અને મોબાઇલ પણ બંધ આવતો હતો. ઘરે તપાસ કરતા પીએસાઈ દ્વારા લખેલી એક ચિઠ્ઠી મળી આવી હતી.
પોલીસે ગુમ થયાની નોંધ કરી પીએસઆઈની શોધખોળ હાથ ધરી છે. ‘હું આ ખાતામાં આવ્યો ત્યારથી જોવું છું કે જેના ગોડ ફાધર હોય છે. તે લોકો ગમે તે કરે તેને કાંઇ નહી, અને મારા જેવા કે જેનો કોઇ હાથ પકનાર ન હોય તેને સામાન્ય વાતમાં પણ મોટી સજા. કીડીને કોશનો ડામ આ ક્યાંનો ન્યાય, ઉપરી અધિકારીઓ તેમને આપેલ સત્તાનો દુરપયોગ કરે છે. અને કોઇની જિંદગી બરબાદ કરી નાંખે છે. જેમકે મારી જિંદગી સવાણી સાહેબ તથા હરિક્રૃષ્ણ પટેલ સાહેબે કરી નાંખી મને વાત વાતમાં નિયમો બતાવી ધમકાવવામાં આવતો અમારા એ.સી.આઈ. નિતાબેન દેસાઈ સાહેબે પણ મને માનસિક ટોર્ચર કરવાની એક પણ તક જતી નથી કરી કેમ કે ડીવાયએસપી જુલી કોઠીયા તેમની બેચ મેટ અને મિત્ર છે. ઓફીસમાં બધા જીન્સ પહેરી આવે તે ચાલે પણ હું પહેરુ તો મને નિયમો બતાવી ધમકાવવામાં આવતો જાણે કે મારા એકલા માટે જ નિયમો બન્યા હોય અને કહે કે તમે ઓફીસ ટાઈમથી ત્રણ મિનિટ વહેલા નિકળી ગયા. આશા હું શું કરું આવું બધું સહન કરી કરી હવે હું થાકી ગયો છું. મને લાગતું મને ન્યાય મળશે પણ ન્યાય કરનાર જ અન્યાય કરે તો હું ક્યા જાવ.
આશા હું તને અધવચ્ચે છોડીને જાવ છું મને માફ કરે જ ને મારી કાળજાના કટકા જેવી દિકરી માહીનું ધ્યાન રાખજે. હું મારી દિકરીનો પણ ગુનેગાર છું કેમકે હું એવા સમયે તેને છોડી જાવ છું કે જ્યારે તેને મારા હાથની જરૃર છે. દિકરી તારા આ બાપને માફ કરજે. આશા મને ખબર છે કે તું એકલી હોઈશ તો તું આ આઘાત સહન નહીં કરી શકે એટલે મે જુનાગઢથી રાજેશભાઈને કામના બહાને બોલાવ્યા છે. હું કાઈ કાયર નથી પણ આ બધા અધિકારીઓએ મને એટલો હેરાન કર્યો છે કે હું મારા ઉપરનો કાબૂ ગુમાવી બેઠો છું. હું મારી દિકરીના સમ ખાય કવ છું કે મેં ક્યારેય કોઈનું ખોટું નથી કર્યું. ઉપરના બધા આક્ષેપો ખોટા ને ઉપજાવી કાઢેલા છે જેમ મરનાર ખોટું ના બોલે તેમ હું પણ સાચુ કવ છું.
મારા બધા પરીવારજનો મારા બાબતે દુઃખી ન થતા ધ્યાન રાખજો ને સમર્થ તું ભણવામાં ધ્યાન રાખજે ને મોટો થઈ પોલીસ ખાતા સિવાય ગમે તે નોકરી કર જે. મારા મોટાભાઈ, ભાભી હું તમારો ગુન્હેગાર છું મને માફ કરજો. રાજુ તને મારી અરજ છે કે મને હેરાન કરનાર હરીકૃષ્ણ પટેલ, આર.જે. સવાણી, જુલી કોઠીયા અને નિતા દેસાઈ તેમજ મારી સામે ખોટી અરજી કરનાર કરશન જોગલ, ગોવિંદ સોલંકી તથા રામ મોડેદરા આ બધા સામે કાયદેસર કાર્યવાહી કરી મને ન્યાય અપાવવાની કોશિષ કરજે.
રાજુ મારી ખાતાકીય તપાસની ફાઈલમાં એક ચીઠી છે તે જો જે ને મને ન્યાય મળે તેવું કરજે. હું ફરી કવ છું કે હું કાયર નથી પણ આ લોકો વચ્ચે રહી મારે નોકરી કરવાની છે ને મને તેવો ક્યાક ને ક્યાક ફસાવતા જ જશે તો હું શું કરૃ? હું પણ મારા મિત્ર ASI શ્રી જાડેજાની જેમ નોકરી કરી શકું તેમ નથી. મને માફ કરજો. વધુ એક માળો વિખાય ગયો. આશા માહિનું ધ્યાન રાખજે. અલવિદા… ”તેરી દુનિયાસે હો કર મજબૂર ચલા મેં બહોત દૂર બહોત દૂર ચલા” – અનિલ
ઈન્ટેલીજન્ટસ બ્યૂરોના ઈન્ચાર્જ ડીજી આર.બી. બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે પીએસઆઈ સામે ખાતાકીય તપાસ ચાલી રહી છે. પીએસઆઈએ જે 40 હજાર દંડની વાત લખી છે તે મનસ્વી છે એવો કોઈ દંડ કરવામાં આવ્યો નથી. આ ઉપરાંત પીએસઆઈ જ્યારે જામ ખંભાળિયા ખાતે ફરજ બજાવતા હતા તે સમયે ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલા હતા. જે બાબતે તેમની સામે ખાતાકીય તપાસ પણ ચાલી રહી છે.