ગુજરાતમાં યહૂદીઓને અપાશે ધાર્મિક લઘુમતીનો દરજ્જો
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત બાદ મુખ્યપ્રધાને ટ્વિટર હેન્ડલ પરથી કરી જાહેરાત
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરતા કહ્યું કે, રાજ્ય સરકાર ગુજરાતમાં યહૂદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપશે અને આ વિશે ટૂંક સમયમાં એક નોટિફિકેશન જાહેર કરવામાં આવશે.
ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથેની મુલાકાત બાદ મુખ્યપ્રધાને તેમના ટ્વિટર હેન્ડલ પરથી આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું છે કે, આ નિર્ણય દ્વારા યહૂદી સમાજ દ્વારા ઘણા સમયથી કરવામાં આવતી માગ પૂરી કરી શકાશે
રૂપાણીએ 45 મિનિટની બેઠક દરમિયાન નેતન્યાહુને કહ્યું હતું કે, ગુજરાતી યહુદીઓને ધાર્મિક લઘુમતીનો દરજ્જો આપવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે ઈઝરાયલના છ દિવસના પ્રવાસ દરમિયાન ત્યાંના વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકાર આ અંગે એક નોટિફિકેશન ઇશ્યૂ કરશે, જેથી યહૂદી સમાજના લોકોને લાભ મળી શકે. ગુજરાતમાં યહૂદી સમાજના કેટલાક લોકો અમદાવાદમાં રહે છે અને તેમની સંખ્યા 200થી પણ ઓછી છે.