અંકલેશ્વર: આદિવાસી કુમાર છાત્રાલય પાછળના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા વિદ્યાર્થીનું કરૂણમોત
વરસાદને કારણે છાત્રાલયના પાછળ આવેલા સ્વિમીંગ પુલમાં પાણી ભેગું થયું હતું.
અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલા કેથોલિક ચર્ચની બાજુમાં આદિવાસી કુમાર છાત્રાલયના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં ચોથા ધોરણના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું. છાત્રાલયના પાછળના ભાગે આવેલા ખાલી સ્વિમિંગ પુલમાં એકત્ર થયેલા વરસાદી પાણીમાં વિદ્યાર્થી ડૂબેલી હાલતમાં મળી આવ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વાલિયા તાલુકાનો વતની પિયુષ કિરણ વસાવા હાલમાં અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલી આદિવાસી કુમાર છાત્રયાલમાં રહી ચોથા ધોરણમાં અભ્યાસ કરતો હતો. બે દિવસ પૂર્વે વરસેલા વરસાદને કારણે છાત્રાલયના પાછળના ભાગે આવેલા સ્વિમીંગ પુલમાં પાણી ભેગું થયું હતું. ગતરોજ રાત્રે કોઈ કારણોસર તેમાં પડી જતાં તે ડૂબી ગયો હતો. જેના કારણે તેનું મોત નિપજ્યું હતું. અહીં જ રહી અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્વિમિંગ પુલમાં કેવી રીતે પહોંચ્યો.કોઈને જ ખબર પડી ના હતી. છાત્રાલય સંચાલક દ્વારા શહેર પોલીસ મથકે પુલમાં પડી જતા તે ડૂબ્યો હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવી છે. બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.