ગુજરાત
News of Thursday, 28th May 2020

ગાંધીધામની પરણીતાને દહેજ બાબતે ત્રાસ : સસરા સામે શારીરિક અડપલાંનો પણ આરોપ

પતિ સહીત સાસરિયા સામે પોલીસમાં ફરિયાદ

ગાંધીધામ : શહેરના ઝંડાચોક, ડીબીઝૈડ સાઉથમાં રહેતી પરિણીતાને પતિ સહિત સાસરિયાઓ દ્વારા દહેજ બાબતે ત્રાસ અપાતા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી દ્વારા તેના સસરા દ્વારા શારીરિક અડપલા કરાયાનો પણ આરોપ મુકાયો છે.

  આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ પાયલબેન મોહિતભાઈ નાવાણી (રહે. મુળ ભારતનગર, શ્રદ્ધા એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૧૩, રૂમ નં. ૧૪પ, ગાંધીધામ, હાલ રહે. ઝંડાચોક, ડીબીઝેડ સાઉથ ૧૬૯, ગાંધીધામ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેના પતિ મોહિતભાઈ નરેશભાઈ નાવાણી, સસરા નરેશભાઈ ત્રિકમદાસ નાવાણી અને સાસુ ઈશ્વરીબેન નરેશભાઈ નાવાણી વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો.

 પરિણીતાના સાસરિયાઓ દ્વારા લગ્નજીવન દરમ્યાન અવારનવાર મેણા ટોણા મારીને તેના પિતાના ઘેરથી પૈસા લાવવા દબાણ કરાતું હતું. ફરિયાદીએ નાણાની ના પાડતા પતિ અને સાસુ - સસરા દ્વારા શારીરિક - માનસિક ત્રાસ અપાતો હતો. તો સસરાએ પુત્રી સમાન પુત્રવધુ સાથે શારીરિક અડપલા કર્યાનો આરોપ પણ મુકાયો હતો. બનવાને પગલે આદિપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)