ગુજરાત
News of Monday, 28th May 2018

પાણીની સમસ્યાના ઉકેલ માટે સરકાર કૃતનિશ્ચયી છે

દરિયાના ખારા પાણીને મીઠુ બનાવવા પ્લાન્ટઃ પાવરગ્રીડ જેમ મોટરગ્રીડ તૈયાર કરનારા ગુજરાતનું ગંદા પાણીના શુદ્ધિકરણનું વોટર રીટ્રીટ મેનેજમેન્ટ રાહ ચિંધશે

અમદાવાદ,તા.૨૮: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, પાણીની સમસ્યાના નક્કર ઉકેલ માટે પુરુષાર્થનીક પરાકાષ્ઠાએ પણ કાર્ય કરવા રાજ્ય સરકાર કૃતનિશ્ચયી છે. ગાંધીનગર ખાતે રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસીને મુકતાં મુખ્યમંત્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે, પાવરગ્રીડની જેમ વોટરગ્રીડ તૈયાર કરનારા ગુજરાત રાજ્યની આ પોલીસી દ્વારા ગંદા પાણીના શુદ્ધિકરણનું વોટર રીટ્રીટ મેનેજમેન્ટ સમગ્ર દેશને રાહ ચીંધશે. મુખ્યમંત્રીએ ગટરના શુદ્ધ કરેલા પાણીના પુનઃ ઉપયોગ અંગેની નીતિ વિશે વધુમાં જણાવ્યું હતું કે, હવે આપણે પાણીના અન્ય ઉપયોગ માટે ભુગર્ભજળ ઉપરના ભારણને ઘટાડવું પડશે, સરફેસ વોટરના ઉપયોગને ઘટાડવું પડશે, તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પીવાના પાણીની ભાવિ જરૂરિયાતને ધ્યાને રાખી હવે આપણે રીસોર્સ, રીટ્રીટ, રીડ્યુસ અને રીયુઝની નીતિ અપનાવવી પડશે. પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા નવા નવા રીસોર્સ-સ્ત્રોતનું નિર્માણ કરવું પડશે. ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા રીટ્રીટ કરવા નક્કર આયોજન કરવું પડશે. પાણીનો બીનજરૂરી ઉપયોગ રીડ્યુસ અટકાવવો પડશે અને પાણીના પુનઃવપરાશ રી યુઝને અપનાવવું પડશે. રાજ્યભરની દરેક નગરપાલિકા-મહાનગરપાલિકા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ઉભા કરીને રીટ્રીટ વોટરનો મહત્વનો સ્ત્રોત તૈયાર કરે એવો અનુરોધ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૪૪-૪૫ ડિગ્રી તાપમાન વચ્ચે પણ ગુજરાતની જનતાએ સુજલામ સુફલામ જળસંગ્રહ મહાઅભિયાન દ્વારા જળસંચય ક્ષેત્રે સમગ્ર દેશને રાહ ચીંધ્યો છે ત્યારે પુનઃઉપયોગ માટે ગંદા પાણીના શુદ્ધિકરણ માટેની આ પોલીસી દ્વારા ગુજરાત ફરી એક વખથ રીટ્રીટ વોટરના ઉપયોગ ક્ષેત્રે દેશને રાહ ચીંધવા તૈયાર થયું છે. પાણી વગર વિકાસ શક્ય નથી. આપણે ગુજરાતને પાણીદાર બનાવવું છે અને દુષ્કાળને ભૂતકાળ બનાવવાનો છે. આ સંકલ્પ સાથે ગુજરાતે આ મહિને ત્રણ નિર્ધાર કર્યા હતા તેની ફળશ્રુતિ વર્ણવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પાણીની જરૂરિયાતને પહોંચી વળવા રાજ્ય સરકારે ૧૬૦૦ કિમીનો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા ડીસેલીનેશન પ્લાન્ટ તૈયાર કરવા પ્રયાસો હાથ ધર્યા છે. આવા એક પ્લાન્ટને મંજૂરી મળી ગઈ છે, બીજા પ્લાન્ટ માટે કાર્યવાહી ચાલુ છે. આવા આઠ-દસ ડીસેલીનેશન પ્લાન્ટ દ્વારા પીવાનું મીઠું પાણી તૈયાર કરવાનો રાજ્ય સરકારે પ્રારંભ કરી દીધો છે. રાજ્ય સરકારનો બીજો નિર્ધાર ભરૂચ નજીક ભાડભૂત યોજનાને સાકાર કરવાનો છે જે અંતર્ગત ભાડભૂત યોજનાના મુખ્ય વિયર ૨૮૦૦ કરોડના કાર્ય માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં આ કામગીરી શરૂ થશે જ્યારે ત્રીજો નિર્ધાર એટલે રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી તૈયાર કરવાનો હતો જે આજે સાકાર થઈ રહ્યો છે. રાજ્ય સરકારે હવે પાણીની ભાવિ જરૂરિયાતોને પહોંચી વળવા નર્મદા અને ભુગર્ભજળ જેવા કુદરતી સ્ત્રોત ઉપરાંત અન્ય સ્ત્રોત શોધીને નક્કર આયોજન હાથ ધર્યું છે હવે નર્મદા યોજના-ભૂગર્ભજળ જેવા કુદરતી સ્ત્રોત ઉપરાંત અન્ય સ્ત્રોત શોધીને નક્કર આયોજન હાથ ધર્યું છે હવે નર્મદા યોજના-ભૂગર્ભ જળ, ડિસેલીનેશન વોટર રીટ્રીડ વોટર વગેરે જળસ્ત્રોતો દ્વારા ગુજરાત રાજ્ય ભાવિ વોટર મેનેજમેન્ટ હાથ ધરશે.

(9:57 pm IST)