ગુજરાત
News of Monday, 28th May 2018

અકસ્માતમાં હાથ-પગ ગુમાવ્યા છતાં વડોદરાના શિવમે હિંમત હાર્યા વગર મહેનત કરતા ધો.૧૦ની બોર્ડની પરીક્ષામાં ૯૮.પ૩ પીઆર મેળવ્યા

વડોદરાઃ ધો. 10 અને ધો. 12ના પરિણામો જાહેર થાય પછી નાસીપાસ થયેલા વિદ્યાર્થીઓ ઘણીવાર ન ભરવા જેવું પગલું ભરી લેતા હોય છે. તો ક્યારેક આપણી સાથે બનેલી કોઈ ઘટનાથી આપણે પોતાને ઘટનાના પીડિત અને લાચાર કહીને પાછળ પગલા ભરી લઈએ છીએ. ત્યારે ધો.10માં અભ્યાસ કરતો વડોદરાનો શિવમ આવા દરેક લોકોને માટે એક પ્રેરણાપાત્ર છે.

લગભગ ચાર-પાંચ વર્ષ પહેલા એક અકસ્માતમાં શિવમને બંને હાથ અને એક પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. જોકે તેના ઇરાદાઓ અકબંધ હતા. પરિસ્થિતિ સામે લાચારી સ્વીકારવી તેના સ્વભાવમાં જ નહોતું. શિવમે કોઈની લાચારી કર્યા વગર મનમાં ગાંઠવાળી અને પહેલા જેટલી જ ધગશથી મહેનત કરવા લાગ્યો.

શિવમની મહેનત અને લગનનું જ પરિણામ છે કે આ વર્ષે યોજાયેલ ધો.10ની એક્ઝામમાં તેને 89% અને 98.53 પર્સેન્ટાઇલ આવ્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે હાથ અને પગ બંને ગુમાવ્યા છતા તેણે કોઈ એક્સટર્નલ મદદ વગર પોતાના સ્વબળે એક્ઝામ આપી હતી. ત્યાં સુધી કે એક્ઝામમાં રાઇટરની પણ મદદ વગર શિવમે જાતે પેપર લખ્યા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર માતા-પિતાના સંતાન શિવમે પોતાના અકસ્માત ગ્રસ્ત હાથમાં મોજા પહેરી તેની અંદર પેન રાખી પરીક્ષાના તમામ પેપરમાં જવાબ લખ્યા હતા. આ અંગે iamgujarat.com સાથે વાત કરતા શિવમે કહ્યું કે, ‘શરુઆતમાં આ રીતે લખવામાં ખૂબ તકલીફ પડતી હતી અને અક્ષર પણ ખરાબ થતા હતા. જોકે મે હિંમત હારી નહોતી અને સતત પ્રયાસો ચાલુ રાખ્યા હતા. આજે હું કોઈપણ સામાન્ય વ્યક્તિની જેમ જ લખી શકું છું અને તે પણ સુવાચ્ય અક્ષરોમાં.

પોતાને મળેલી પ્રેરણા અંગે શિવમે જણાવ્યું કે, ‘મારી સાથે અકસ્માત થયા બાદ મમ્મી-પપ્પા અને સ્કૂલના શિક્ષકો તેમજ ફ્રેન્ડ્સે મને હિંમત બંધાવી હતી. તેમના કારણે જ આજે મે આ સફળતા મેળવી છે. મારી સફળતાનો સૌથી મોટો શ્રેય મારા મમ્મી-પપ્પા અને સ્કૂલના શિક્ષકોને જાય છે.

જ્યારે શિવમને પુછવામાં આવ્યું કે, હવે આગળ શું ભણવું છે? તો તરત જ જવાબ આપતા કહ્યું કે, ‘મારે આગળ સાયન્સ લાઇન લેવી છે અને ધો.12 પછી મેડિકલ લાઇનમાં ડીગ્રી મેળવવી છે.વડોદરાના જીવન સાધના સ્કૂલમાંથી ધો.10ની પરીક્ષા આપનાર શિવમનો આત્મવિશ્વાસ અનેક નાસિપાસ થતા વિદ્યાર્થીઓ માટે પ્રેરણાસ્ત્રોત બની શકે છે. ત્યારે શિવમ પણ આવા દરેક લોકોને હિંમત ન હારવાની સલાહ આપે છે.

શિવમે હતાશ થતા તમામ લોકોને જણાવ્યું કે, ‘કોઇપણ પરીક્ષાનું પરિણામ માત્ર એક કાગળ હોય છે. આ કાગળનો ટુકડો તમે કોણ છો અને શું કરી શકો છો તે નક્કી નથી કરતો. તમારું ફ્યુચર તમે પોતે જ નક્કી કરી શકો છો. એક નિષ્ફળતા એટલે જીવન પૂર્ણ થતું નથી.તેણે દરેકને પોતાનું ધ્યેય નક્કી કરી તે મેળવવા માટે મહેનત કરવા જણાવ્યું હતું.

(6:39 pm IST)