અગાઉના ઝઘડાની અદાવત રાખી ઇસનપુરમાં યુવકને ગોળી મારી આરોપી છૂમંતર
અમદાવાદ:ઈસનપુરમાં આજે સવારે અગાઊના ઝઘડાની અદાવત રાખીને ૩૫ વર્ષની વય્કતિ પર ગોળીબાર કરીને એક શખ્સ ફરાર થઈ ગયો હતો. આ બનાવને પગલે ઈસનપુરમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ઘટનાસ્થળે પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવની વિગત મુજબ ઈસનપુરમાં વિશાલનગર સ્થિત ન્યુ યોગેશ્વર સોસાયટીમાં સુરેશ પ્રજાપતિ (૩૫) તેની પત્ની પારૃલબહેન સાથે રહેતો હતો. ૨૭ મેના રોજ સવારે ૧૦ વાગ્યે સુરેશ પ્રજાપતિ તેની સોસાયટી સામે આવેલી અશોકભાઈ કરિયાણાની દુકાન પાસે ઊભો હતો. દરમિયાન કાળુ પંડીત નામના શખ્સે તેની પાસેની રિવોલ્વરમાંથી એક રાઊન્ડ સુરેશ પર ફાયર કર્યો હતો. જેમાં સુરેશની પીઠમાં જમણી બાજુએ ગોળી વાગતા તે લોહીલુહાણ થઈ ગયો હતો. ફાયરિગ કર્યા બાદ આરોપી કાળુ પંડીત ભાગી ગયો હતો. સારવાર અર્થે સુરેશને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ઓપરેશન કરીને બુલેટ બહાર કાઢવામાં આવી હતી. હાલ તે ભયમુક્ત હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઈસનપુર પોલીસ સ્ટેશનના સીનીયર પી.આઈ.એન.એમ.પટેલના જણાવ્યા મુજબ અમે બુલેટ કબજે કરી છે. જોકે કેવા પ્રકારની રિવોલ્વરથી ગોળીબાર કરાયો તે તાત્ત્કાલિક જાણી શકાયું નથી.