વડોદરામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી દેનાર પુત્રએ તળાવમાં પડતું મૂક્યું
વડોદરા: ત્રણ વર્ષમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી દેનાર યુવાને આજે સવારે આજવા રોડ કમલાનગર તળાવમાં પડતુ મુકી જીવાદોરી ટુંકાવી લીધી હતી. આપઘાત કરી લેનાર યુવાનના કાકાએ જણાવ્યું હતું કે, મારા એકના એક ભત્રીજાએ કેમ આપઘાત કરી લીધો તેની મને ખબર નથી. તેના મોતનું રહસ્ય પણ તેની પાછળ ગયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરના વાઘોડિયા રોડ અંબિકા એવન્યુમાં રહેતો અંકિત નવિનચંદ્ર પંડ્યા (ઉં.વ.35) આજે પોતાની મોપેડ લઇને આજે સવારે આજવા રોડ કમલાનગર તળાવ પહોંચી ગયો હતો. અને તળાવના કિનારે મોપેડ પાર્ક કરીને તળાવમાં કૂદી પડ્યો હતો. સ્થાનિક લોકોએ યુવાનને તળાવમાં પડતુ મુકતા જ લોકો ટોળે વળી ગયા હતા. કેટલાંક લોકો તળાવમાં મોતનો ભૂસકો મારનારને બચાવવા માટેના પ્રયાસ કરવાને બદલે પોતાના મોબાઇલ ઉપર વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું હતું. તો વળી કેટલાંક વ્યક્તિઓએ આ અંગેની જાણ ફાયર બ્રિગેડ અને બાપોદ પોલીસને કરતા તુરંત જ લાશ્કરો અને પોલીસ સ્થળ પર દોડી આવી હતી.