ગુજરાત
News of Monday, 28th May 2018

અમદાવાદમાં જુનાગઢના યુવકને રિક્ષાએ ટક્કર મારતા રોડ ઉપર ફંગોળાયો : ૧૦૮ હડફેટે મોત

અમદાવાદ, તા. ર૮ : જુનાગઢના તળાવ દરવાજા પાસે નિલધારા એપાર્ટમેન્ટમાં રહેતો ચિરાગ જયેશભાઇ રાઠોડ (ઉ.વ.ર૪) અમદાવાદમાં રહી સીએના ફાઇનલ યરમાં અભ્યાસ કરતો હતો. શનિવારે સાંજના સમયે ચિરાગ પોતાની હોન્ડા ટવીસ્ટર બાઇક લઇને એનઆઇડીથી પાલડી ચાર રસ્તા તરફ જઇ રહ્યો હતો. આ સમયે હોટ રિવરફ્રન્ટ પાસે એક ઓટો રિક્ષા રોંગ સાઇડમાં આવી રહી હતી.

રોંગ સાઇડમાં આવેલી ઓટો રિક્ષાની ટક્કર વાગવાથી ચિરાગ બાઇક ઉપરથી ઉછળીને રોડ પર પડયો હતો. આ સમયે જ ૧૦૮ની એમ્બ્યુલન્સ પસાર થઇ રહી હતી. પટકાયેલા ચિરાગ ઉપર એમ્બ્યુલન્સ ફરી વળી હતી. ચિરાગનું શરીર એમ્બ્યુલન્સમાં નીચેના ભાગે સફાઇ ગયું હતું. લોકોએ બહાર કાઢીને ચિરાગને વી.એસ.માં ખસેડયો હતો, ફરજ પરના ડોકટરને ચિરાગને મૃત જાહેર કર્યો હતો.

ચિરાગ અમદાવાદમાં એકલો રહીને સીએ તરીકે અભ્યાસ કરતો હતો અને ફાઇનલ યરમાં હતો. તપાસનીશ પાલડીના પીએસઆઇ એ.એસ. ગરચરે જણાવ્યું કે, આ રોડ ઉપર આવેલી હોટલ રિવરફ્રન્ટના સીસીટીવીમાં અકસ્માત કેદ થઇ ગયો છે. સીસીટીવીના આધારે વિચિત્ર અકસ્માત સર્જનાર રિક્ષના ચાલકની ઓળખ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે.

(4:10 pm IST)