ગુજરાત
News of Monday, 28th May 2018

હવે ઈરાનની જેલમાંથી મુક્ત થવાને બદલે ગુજરાતના ખલાસીને છૂટવા ચૂકવવા પડશે 58 લાખ રૂપિયાનો દંડ

માંડવીના 47 વર્ષીય ખલાસી ઉમર સાલેહ મોહમ્મદ થૈમ ગેરકાયદેસર ઘૂસણખોરી અને ડીઝલની સ્મગલિંગનો આરોપ

અમદાવાદ:હવે કચ્છના માંડવીના 47 વર્ષીય ખલાસી ઉમર સાલેહ મોહમ્મદ થૈમ ઈરાનની મિનાબ જેલમાંથી છૂટવા માટે 58 લાખનો દંડ ચૂકવવો પડશે આ ખલાસી રમઝાનના મહિનામાં મુક્ત થવાના હતા.પરંતુ તેમના કેસમાં આવેલા નવા વળાંકને કારણે પરિવારની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે થૈમ પર ઈરાન પ્રશાસન દ્વારા ગેરકાયદેસર ઘૂસણખોરી અને ડીઝલની સ્મગલિંગનો આરોપ છે. 2014માં તેમની બોટ જપ્ત કરી લેવામાં આવી હતી અને તેની સાથેના 11 ક્રૂ મેમ્બર્સની પણ ધરપકડ કરવામાં આવી હતી.

  થૈમના પરિવારનું કહેવુ છે કે, થૈમની બોટ ‘સફીના અલ શેના’ દુબઈથી યમન જઈ રહી હતી ત્યારે દરિયામાં વાવાઝોડું આવવાને કારણે ઈરાનની હદમાં પહોંચી ગઈ હતી. ઈરાન પ્રશાસન દ્વારા ફટકારવામાં આવેલા દંડની રકમ 97 લાખ રુપિયા હતા, પરંતુ પાછલા ચાર વર્ષના તેના જેલવાસને ધ્યાનમાં રાખીને દંડ ઘટાડીને 58 લાખ કરવામાં આવ્યો છે.

થૈમના ભાઈ નૂર મોહમ્મદ કહે છે કે, અમને જાણવા મળ્યું કે મારા ભાઈને જેલમાંથી છોડવવા માટે અમારે ઈરાનને 58.78 લાખ રુપિયા ચુકવવા પડશે, નહીં તો તેણે વધુ 10 વર્ષ માટે જેલમાં રહેવું પડશે. થૈમને પાછા લાવવા માટે ઈરાન ગયેલા મારા નાના ભાઈને વકીલે આ વાત જણાવી હતી. થૈમ ડાયાબિટીસ અને હાયપરટેન્શનથી પીડાઈ રહ્યો છે, અને જો વધુ વર્ષ જેલમાં રહેવું પડશે તો તે લાંબુ જીવી નહીં શકે.

  નૂર મોહમ્મદ જણાવે છે કે થૈમને ઈરાનની જેલમાંથી મુક્ત માત્ર ભારત સરકાર જ કરાવી શકે છે. અમે વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને રાજ્યમંત્રી પુરુષોત્તમ રુપાલા સમક્ષ અનેકવાર રજુઆત કરી છે. તેમણે હકારાત્મક જવાબ આપ્યો હતો, પરંતુ કોઈ ઠોસ પગલાં નથી લીધા. થૈમ તેમના પરિવારના એકમાત્ર સભ્ય હતા જે કમાતા હતા અને અત્યારે આટલા બધા પૈસાની વ્યવસ્થા કરવાનો કોઈ રસ્તો નથી.

થૈમના પરિવાર અને ખલાસીઓના સંગઠનના સભ્યોએ વિદેશ મંત્રાલય સમક્ષ અનેક વાર રજુઆત કરી છે. આ પહેલા તેમને જાણવા મળ્યુ હતું કે પાસપોર્ટમાં પિતાના નામમાં ભુલ હોવાના કારણે થૈમને મુક્ત નહીં કરી શકાય, પરંતુ તે સમસ્યાનું નિરાકરણ આવી ગયુ હતું. ત્યારે હવે આ દંડની સમસ્યા સામે આવી છે.

(1:59 pm IST)