ચારૂતર વિદ્યા મંડળના પૂર્વ ચેરમેન ડૉ. સી.એલ.પટેલનું નિધન:સોમવારે સાંજે અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ સભા :શિક્ષણજગતમાં ઘેરો શોક
શિક્ષણમહર્ષિ તરીકે જાણીતા ન્યુ વલ્લભ વિદ્યાનગરના સ્થાપક અને સેલ્ફ ફાયનાન્સ કોલેજોના પ્રણેતા ડો.સી.એલ.પટેલ જન્મે ખેડૂત અને વ્યવસાયે એન્જિનિયર હતા
આણંદ: ચારૂતર વિદ્યા મંડળના પૂર્વ ચેરમેન ડૉ. સી.એલ. પટેલનું આજે વહેલી સવારે નિધન થતા શિક્ષણ જગતમાં ઘેરો શોક છવાયો છે સી.એલ.પટેલ છેલ્લા ઘણા સમયથી પથારીવશ હતા અને તેની સારવાર ચાલી રહી હતી. આજે વહેલી સવારે તેનું નિધન થયું છે. તેઓ ગુજરાતમાં સેલ્ફ ફાયનાન્સ કોલેજોના પ્રણેતા હતા.
છોટુભાઈ લલ્લુભાઇ પટેલ ( ડો સી એલ પટેલના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ સભા જી,જે,પટેલ આયુર્વેદ કોલેજ ન્યુ વલ્લભ વિદ્યાનગર વિઠઠલા ઉદ્યોગનગર પાછળ સોમવારે સાંજે 5 થી રાખેલ છે અંતિમ ક્રિયા પછીની તમામ લૌકિક ક્રિયા બંધ રાખવામાં આવી છે
શિક્ષણજગતમાં ડૉ.સી.એલ.પટેલનું નામ ખુબ જ જાણીતું છે શિક્ષણમહર્ષિ તરીકે જાણીતા ન્યુ વલ્લભ વિદ્યાનગરના સ્થાપક અને ગુજરાતની સેલ્ફ ફાયનાન્સ કોલેજોના પ્રણેતા ડો.સી.એલ.પટેલ જન્મે ખેડૂત અને વ્યવસાયે એન્જિનિયર હોવા છતાં 24 વર્ષથી ચારૂતર વિદ્યામંડળનું સફળ સંચાલન કર્યું. તેમની છત્રછાયામાં 44 સંસ્થાઓ સતત પ્રગતિ કરી. સીવીએમમાં અભ્યાસ કરીને કેટલાંય વિદ્યાર્થીઓએ દેશ વિદેશમાં સફળ કારકિર્દી બનાવી છે.
પૂર્વ નાણાંમંત્રી અને સીવીએમના ચેરમેન ડો.એચ.એમ.પટેલના અવસાન બાદ વર્ષ 1994માં ચેરમેનપદની થયેલી ચૂંટણીમાં ડો.સી.એલ.પટેલનો જંગી મતોથી ચૂંટાઇ આવ્યા હતા. ત્યારબાદ સતત તેઓના અથાગ પ્રયાસોથી વલ્લભ વિદ્યાનગરની શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ સાથે તેઓએ ન્યુ વલ્લભ વિદ્યાનગરની પણ સ્થાપના કરી હતી. પરંતુ વધતી ઉંમરની સાથે તેઓની તબિયત નાદુરસ્ત રહેવા છતાં મનથી મજબૂત અને મક્કમ એવા ડો.સી.એલ.પટેલ 82 વર્ષની વયે પણ વહીવટ સફળતાપૂર્વક સંભાળી રહ્યા હતા.
જોકે છેલ્લા એક વર્ષથી તેઓની તબિયત વધુ લથડતાં થોડા દિવસો હોસ્પિટલમાં પણ રહેવું પડ્યું હતું. ત્યારે આજે વહેલી સવારે તેનું નિધન થતાં શિક્ષણજગતમાં શોકનો માહોલ છવાય ગયો છે.
ચરોતરરત્ન, શિક્ષણમહર્ષિ, શિક્ષણક્ષેત્રના આજીવન ભેખધારી અને ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ડૉ.સી.એલ.પટેલને ‘વિશ્વ ગુજરાતી સમાજ’ પ્રેરિત પ્રતિષ્ઠિત “શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ”થી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણના ક્ષેત્રમાં પ્રશંશનીય કામગીરી બદલ ડો.પટેલને આ એવોર્ડ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં એનાયત કરવામાં આવ્યો હતો.