ઉદયપુર પાસે કન્ટેનરમાં કાર ઘુસી જતા હિંમતનગરના ત્રણ યુવાનોના કરૂણમોત
રાજસ્થાન પરીક્ષા આપવા ગયેલા : મૃતદેહોને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ
હિંમતનગરઃઉદયપુર પાસે ટીડી હોસ્પિટલના પાટીયા નજીક પરીક્ષા આપવા જતા હિંમતનગરના યુવાનોની કાર કન્ટેનરમાં ઘૂસી જતાં ઘટનાસ્થળે ત્રણ યુવાનોના મોત નિપજ્યા હતા તેમના મૃતદેહોને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવાઈ હતી. કારમાં એક ઈજાગ્રસ્ત યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. તમામના મૃતદેહોને વતનમાં લાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
હિંમતનગરના માનવ બ્રહ્મભટ્ટ, ધવલ દેસાઈ અને નેહલ પટેલ તેમજ અન્ય એક યુવાન જીજે રાજસ્થાન પરીક્ષા આપવા માટે ગયા હતા. મોડી રાત્રે એક વાગ્યા આસપાસ ઉદયપુર નજીક ટીડી હોસ્પિટલના પાટીયા પાસે તેમની કાર એક કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી. કન્ટેનરમાં તેમની કાર ઘૂસતા ત્રણેયના મોત થયા હતા. કાર કન્ટેનરમાં અડધી ઘૂસી જતા બે કલાકની જહેમત બાદ ત્રણેયના મૃતદેહો બહાર કઢાયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને ટીડી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને ઉદયપુરની એમ બી હોસ્પિટલ રિફર કરાયો હતો.