શહીદોને ભાવનાત્મક શ્રધ્ધાંજલી : આર્કિટેક કમલેશ પારેખની કલાકૃતિનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ
રાજકોટ : પુલવામાં હુમલાને એક વર્ષ પૂર્ણ થયુ છે. વળતા જવાબમાં બાલાકોટ એરસ્ટ્રાઇક કરવામાં આવેલ. ત્યારે આ ઘટનામાં શહીદ થયેલ આપણા વીર જવાનોને પેઇન્ટીંગના માધ્યમથી ભાવનાત્મક શ્રધ્ધાંજલી આપવા જાણીતા આર્કિટેક કમલેશભાઇ પારેખે ખુબ સરસ હ્ય્દયસ્પર્શી પ્રયાસ કરેલ છે. આ કૃતિમાં સુક્ષ્મ અને સુચક ભાવો દર્શાવવા યત્ન થયો છે. દુશ્મન સાથે બદલાની ભાવના, શૌર્ય રસ, રોદ્ર સ્વરૂપ, ક્રોધ, કરૂણા, દેશ ભાવના સહીતના મુદ્દાઓને ચિત્રના માધ્યમથી વ્યકત કરી કમલેશભાઇ પારેખ (મો.૯૭૨૩૩ ૧૭૮૭૪) એ મા ભૌમના શહીદોને અનોખી શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. એટલુ જ નહીં તેમાં સ્વરચિત 'મા ભારતીનું રૂદન' અને 'જવાનોનો પ્રતિશોધ' કાવ્યોને પણ સ્થાન અપાયુ છે. આમ ચિત્ર અને કાવ્યના સમન્વયથી સર્જકે પોતાના ભાવો વ્યકત કર્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે આ પહેલા કમલેશ પારેખ એક એકઝીબીશન કરી ચુકયા છે. જેની તમામ રકમ શહીદોના બાળકોના શિક્ષણ માટે અર્પણ કરી હતી. તેમણે તૈયાર કરેલ ઉકત ભાવનાત્મક પેઇન્ટીંગ અને કાવ્ય સાથેની કલાકૃતિનું અનાવરણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કરવામાં આવેલ. તે સમયની તસ્વીરો અહીં નજરે પડે છે.