આણંદ જિલ્લામાં પસાર થતા નેશનલ હાઈવેને પહોળા કરવા હજારો વૃક્ષોનું નિકંદન કરવાની નોબત આવી
આણંદ:વિકાસ પાછળ આંધળી દોટ મૂકતાં તંત્ર દ્વારા આણંદ જિલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઈવેને પહોળા કરવા માટે માર્ગની આસપાસમાં આવેલ વર્ષો જૂના હજ્જારો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. પર્યાવરણની જાળવણી માટે અતિ મહત્વના લીલાં વૃક્ષોનું નિકંદન નીકળતાં કેટલાંય પ્રદેશો વેરાન થયા છે ત્યારે આવનારી પેઢીના જીવનને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા માર્ગની આસપાસમાં આવેલ ખેતરોના માલિકોને વૃક્ષ ઉછેર માટે પ્રોત્સાહિત કરી પર્યાવરણને બચાવવામાં આવે તેવી માંગ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરાઈ છે.
ગુજરાત રાજ્ય વિકાસના પંથે આગળ ધપી રહ્યું છે. સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. લોકોને વાહનવ્યવહારની પૂરતી સુવિધા મળે અને ટ્રાફિકનું ભારણ ઓછું થાય તે હેતુથી વિવિધ માર્ગોને ફોર-લેન તથા સિક્સ-લેન બનાવવાની કામગીરી કરવામાં આવે છે. જે મુજબ આણંદ જિલ્લાના ઉમરેઠ-ભાલેજ માર્ગ, નડીયાદ તરફના હાઈવે માર્ગને પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. હાઈવે માર્ગને પહોળો કરવા માટે માર્ગની સાઈડમાં આવેલ હજ્જારો લીલા વૃક્ષોને કાપવામાં આવ્યા છે. વર્ષો જૂના ઘટાદાર વૃક્ષો માર્ગનું ધોવાણ અટકાવતા હતાં અને વાહનચાલકોને પણ ઉનાળાની ધોમધખતી ગરમીમાં ઠંકડ આપતા હતાં. તેનું નિકંદન નિકળતાં માર્ગોની આસપાસનો પ્રદેશ ઉજ્જડ બની ગયો છે.