ગુજરાત
News of Thursday, 28th January 2021

લગ્ન લગ્ને કુંવારા વર સામે પત્નીએ કરી ફરિયાદ

મારા પતિએ પાંચ લગ્ન કર્યા : મારી જાણ બહાર છઠ્ઠી પત્ની લઇ આવ્યો

સુરતનો વિચિત્ર કિસ્સો : એક મહિલાએ પોતાના પતિ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

નવી દિલ્હી,તા. ૨૮: ગુજરાતીમાં એક હાસ્ય નાટક ખૂબ જાણીતું છે જેનું ટાઇટલ છે વર મારો લગ્ન લગ્ન કુંવારો આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. અહીંયા મહિલા પોલીસ મથકમાં એક મહિલાએ પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેના પતિએ તેની સાથે લગ્ન કર્યા તે પાંચમા લગ્ન હતા છતાં પતિ તેની જાણ બહાર છઠ્ઠા લગ્ન કરી આવ્યો છે અને મને કહે છે તું મને નથી ગમતી મારે તને રાખવી નથી. રાંદેર ગામ કુંભારવાડામાં રહેતી ૪૪ વર્ષીય મહિલાએ પ્રથમ પતિના અવસાન બાદ ગત સપ્ટેમ્બર ૨૦ માં લાજપોર નજીકના કપ્લેથા ગામ નવી નગરી મેઇન સ્ટ્રીટમાં રહેતા ૫૫ વર્ષીય ઐયુબ સુલેમાન ડેગીયા સાથે બીજા લગ્ન કર્યા હતા.

 મહિલા લગ્ન કરે તો દાગીના અને મકાન લઇ આપવાનું વચન આપનાર ઐયુબ પોતાના કહેણથી ફરી ગયો હતો . ઐયુબ સાથે લગ્ન બાદ આ તેના પાંચમા લગ્ન હોવાનું જાણતાં તેની હેરાનગતિ શરૂ કરી હતી . જમવાનું બનાવતા આવડતું નથી પિતાએ કશું શીખવ્યું નથી તેમ કહીને ઝઘડાઓ શરૂ કર્યા હતા .

લગ્નના ત્રણ મહિના બાદ ૨૨ મી ડિસેમ્બરે ઐયુબે પોતે હરિયાણા કામ અર્થે જતો હોવાનું કહી પિયર મૂકી ગયો હતો . હરિયાણાથી પરત આવીને તેડી જઇશ તેમ કહીને ગયેલા ઐયુબે થોડાક સમય પછી ફોન કરી પોતે હરિયાણા નહિ ગયો હોવાનું અને તેને તલાક આપી દેનાર હોવાની ચીમકી ઉચ્ચારી હતી

ઐયુબે પાંચ - પાંચ લગ્ન કર્યાના પત્નીના આરોપથી પોલીસ પણ ચોકી ગઈ હતી, પોતાને પતિ ઐયુબ તલાક આપી દેવાનો હોવાનું જાણ્યા બાદ સાસરીમાં પહોંચેલી પત્નીને પતિએ દ્યરમાં સ્વીકારી ન હતી અને પરત કાઢી મૂકી હતી . પોતાને કાઢી નાંખ્યાના પંદરેક દિવસ બાદ ઐયુબે છઠ્ઠા લગ્ન કરી લીધાનું જાણીને આયેશાબેન મહિલા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને પોતાને છૂટાછેડા આપ્યા વિના જ વધુ એક લગ્ન કરનાર ઐયુબ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે ક્રાઇમ બ્રાન્ચના એસીપી આરઆર સરવૈયાએ જણાવ્યું હતું કે 'મહિલાના આક્ષેપોના આધારે આ વ્યકિત સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ તેનો ભોગ બનેલી મહિલાઓ કોઈ છે કે નહીં અથવા કોઈ ફરિયાદ કરશે તો તેમની ફરિયાદ લઈને પણ કાર્યવાહી કરવામાં આવશે.'

(11:02 am IST)