બનાસકાંઠાના ધરણોધર ગામે પૂજારીની હત્યા :બંને હાથ બાંધેલી હાલતમાં લાશ મળી : ગળાના ભાગે ગંભીર ઇજા
પુજારીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવતા ચકચાર
બનાસકાંઠાના ધરણોધર ગામે પૂજારીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેમાં ગામના પૂજારીની ગળાના ભાગે ગંભીર ઇજા અને બંને હાથ બાંધેલી હાલતમાં લાશ મળી આવી છે જે મામલે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ધાનેરા તાલુકાના ધરણોધર ગામે પૂજારીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ધરણોદર ગામમાં આવેલ શંકર ભગવાનના મંદિરમાં 40 વર્ષીય રમેશભારથી ગોસ્વામી પૂજારી તરીકે સેવા આપતા હતા આજે બપોરના સમયે તેઓ રાબેતા મુજબ ઘરેથી મંદિરે જવા માટે નીકળ્યા હતા. પરંતુ, મોડી સાંજે ગામની સીમમાં તેમની લાશ મળી આવી હતી.
બનાવ અંગે જાણ થતાં જ તેમના પરિવારજનો, આજુબાજુના લોકો અને ધાનેરા પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં પૂજારી રમેશભારથી ગોસ્વામીને ગળાના ભાગે ગંભીર ઇજા તેમજ બંને હાથ પાછળના ભાગે બાંધી દીધેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી લાશને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. તેમજ પૂજારીની હત્યા મામલે વધુ તપાસ હાથ ધરી છે.