ઇડર તાલુકાના પ્રતાપપુરા ગામની દૂધ મંડળીમાં સબ્સિડીનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામ્યો
ઈડર:તાલુકાના પ્રતાપપુરા ગામની દૂધ મંડળીમાં સભાસદોને ધિરાણ પર મળતી સબસીડીનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો અનુસાર સબસીડીની આશરે રૂ.૧૪.૬૬ લાખની રકમ જમા ન કરાતા હોબાળો થયો છે. તેમજ સભાસદોએ આ મુદ્દે નારાજ થઈને ગામની દૂધ મંડળીનો બહિષ્કાર કરીને અન્ય ગામની મંડળીઓમાં દૂધ આપવાનું શરૂ કરી દીધું છે. સભાસદોએ પોલીસમાં લેખિત અરજી આપીને આ કારસ્તાન આંચરનારા તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માગણી પણ કરી છે. આ અંગેની મળતી વિગતો અનુસાર પ્રતાપપુરા ગામની દૂધ મંડળીના સભાસદોએ મંડળી મારફતે બેન્કમાંથી ધિરાણ મેળવ્યું હતું. આ ધિરાણના હપ્તા સભાસદોના પેમેન્ટમાંથી જમા થતા હતા.
દરમિયાનમાં ધિરાણ પેટે મળેલી સબસીડી બાબતે સભાસદોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સબસીડીની રૂ.૧૪,૬૬,૭૦૦ જેટલી રકમ તેમના ખાતામાં જમા આપવામાં આવી નથી. આ સબસીડી બાબતે સભાસદો ર૦૧૮થી માગણી કરી રહ્યા છે. જો કે સભાસદોની અનેક રજૂઆતો છતાં આ પ્રશ્નનો હલ ન આવતા આખરે ગત તા.૪ નવેમ્બરથી સભાસદોએ દૂધ મંડળી બંધ કરાવી દીધી છે. હાલમાં સભાસદો નજીકના અન્ય ગામોમાં દૂધ ભરાવવા માટે જાય છે.