'આપણી અંદર પ્રેમ, કરૂણા અને માંગલ્યની ભાવના ચેતનવંતી બની રહે..'
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીને લાગણીસભર પત્ર
રાજકોટ તા. ૨૭ : ગુજરાતના પ્રજા-વત્સલ, સતત કર્મશીલ, સંવેદનશીલ મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક અને મેઘાણી@125ના પ્રણેતા પિનાકી નાનકભાઈ મેઘાણીને દિવાળી તથા નૂતન વર્ષની ભાવભરી શુભેચ્છાઓ પાઠવી છે. ગુજરાતના યશસ્વી મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પિનાકી મેઘાણીને લાગણીસભર પત્ર લખ્યો છે : 'પ્રકાશનું પર્વ દિવાળી અંધકારને દૂર કરી ઉજાસ પાથરવાની પ્રેરણા આપે છે. જીવનમાં અજ્ઞાનરૂપી તમસ દૂર થાય અને જ્ઞાનરૂપી આંતરિક પ્રકાશ ઝળહળી ઊઠે એ જ આ પાવન પર્વનો હાર્દ છે. આપણી અતિ પ્રાચીન અને દિવ્ય સંસ્કૃતિમાં ઉત્સવો અને તહેવારોનો મર્મ છુપાયેલો છે. દિપાવલીના તહેવારમાં આપણાં ભવ્ય વારસાની ઝાંખી થાય છે. આપણી અંદર પ્રેમ, કરૂણા અને માંગલ્યની ભાવના ચેતનવંતી બની રહે એવી કામના સાથે દિવાળી અને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું.'
: આલેખન :
પિનાકી નાનકભાઈ મેઘાણી
મો. ૯૮૨૫૦ ૨૧૨૭૯