રાજ્યમાં 5 નવા સફારી પાર્ક ઉભા કરાશે :ગાંધીનગરમાં સાંભળશે સિંહની ડણક :કેન્દ્ર સરકારની મંજૂરી: ગણપત વસાવાની જાહેરાત
ઈન્દ્રોડા પાર્કમાં એશિયાઇ સિંહ-સુત્રા તથા સિંહણ-ગ્રીવાની જોડી જોવા મળશે
ગાંધીનગર: વન અને આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગરમાં સિંહ ઘર અને સોવેનિયર શોપનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં પાંચ નવા સફારી પાર્ક ઉભા કરવામાં આવશે, કેન્દ્ર સરકાર તરફથી તમામ અંગેની મંજૂરી મળી ગઇ છે. ઈન્દ્રોડા પાર્ક ખાતે વાઘ, રીંછ અને દીપડા આગામી સમયમાં લાવવામાં આવશે.
વન અને આદિજાતિ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટિક સિંહોના જતન અને સંવર્ધન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. આવનારા સમયમાં વન્યપ્રાણી જાતો તથા પ્રાકૃતિક સંપદા થકી ગુજરાતને વધુ સમૃદ્ધ બનાવાશે.
આજે ગીર ફાઉન્ડેશનના ઈન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે ‘સિંહઘર’ તથા ‘સોવેનિયર’ શોપનું લોકાર્પણ કરતાં મંત્રી વસાવાએ ઉમેર્યુ કે, ગાંધીનગર તથા અમદાવાદ સહિત આસપાસના વિસ્તારના નાગરિકો માટે આજે શુભ ઘડી છે. ગીરના સિંહો જોવા માટે છેક સાસણ નહીં જવું પડે ઈન્દ્રોડા પાર્ક ખાતે એશિયાઇ સિંહ-સુત્રા તથા સિંહણ-ગ્રીવાની આ જોડી નાગરિકોને જોવા મળશે.