ગુજરાત
News of Wednesday, 27th October 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓ માટે સૌથી ફેવરિટ સ્થળ : દિવાળી તહેવારમાં કેવડિયા હાઉસફુલ : બુકીંગ સ્લોટ વધારાયા

સ્ટેચ્યુ પાસે મુકેલ ઈ રીક્ષા, ઈ કાર, ભુલભુલૈયા જેવા નવા પ્રોજેક્ટો પણ પ્રવાસીઓનું નવું આકર્ષણ ફોટો sou

રાજપીપળા: પીએમ મોદીએ કેવડીયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં દેશ વિદેશના હજારો પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી ચુક્યા છે. પ્રવાસીઓનું આકર્ષણ વધે એ માટે તંત્રએ અન્ય પ્રવાસન સ્થળોનું પણ નિર્માણ કર્યું, કોરોના કાળને બાદ કરતાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત આસપાસના અન્ય પ્રવાસન સ્થળોની વિક્રમી સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હવે પ્રવાસીઓ અન્ય જગ્યાએ જવાને બદલે નર્મદા જિલ્લાને પસંદ કરતા થયા છે. નર્મદા જિલ્લાનું પ્રવાસન સ્થળ કેવડિયા દિવાળીની રજાઓમાં હાઉસફુલ થઈ ગયું છે. નર્મદાના કેવડિયા પ્રવાસન ધામેં દિવાળીની રજાઓમાં ખાસ પ્રવસીઓમાં વિશેસ આકર્ષણ જોવા મળી રહ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓનલાઇન ટિકિટ પણ હાઉસફુલ થઇ ચુકી છે. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવેલ જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક જેવા તમામ 17 પ્રોજેક્ટો પણ 6 નવેમ્બર સુધી પ્રવાસીઓએ બુક કરાવી દીધા છે અને હાલ પણ ઓનલાઇન પ્રવાસીઓ ટિકિટ લઈને આવી રહ્યા છે. જ્યારે જંગલ સફારીમા 3000 થી વધુ ટિકિટ બુક થઈ ગઈ છે.

કોરોના કાળમાં દિવાળીની રજાઓમાં દૂર ફરવા જવું ખૂબ જોખમી છે, એટલે લોકો કેવડિયાને વધુ પસંદ કરી રહ્યાં છે. અહિયાનું વાતાવરણ પણ ખૂબ સુંદર છે. એટલે દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ આ સ્થળ ખૂબ પસંદ કરે છે.

જોકે હવે સરકારે પણ તમામ ઓનલાઇન સ્લોટ વધારી દીધા છે કોરોના મહામારીમાં જે સ્લોટ ઓછા કર્યા હતા એને પણ ખુલ્લા કરી દીધા છે.આ વર્ષના દિવાળી વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવસીઓ માટે ખાસ સ્ટેચ્યુ પાસે મુકેલ ઈ રીક્ષા, ઈ કાર, ભુલભુલૈયા જેવા નવા પ્રોજેક્ટો પણ પ્રવાસીઓનું નવું આકર્ષણ રહશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ સત્તા મંડળ દ્વારા અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક પ્રકારની સુવિધાઓ પણ વધારી દેવામાં આવી છે. સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજના 30 થી 35 હજાર પ્રવાસીઓને રહેવા માટે ટેન્ટ સીટી, રમાડા હોટલ પણ ફૂલ બુકીંગ થઇ ચૂક્યું છે ત્યારે કોરોના મહામારી બાદ પ્રથમ વખત આ વર્ષે પ્રવાસીઓ દિવાળી વેકેશન નર્મદામાં મનાવશે.

(12:43 am IST)