ગુજરાત
News of Wednesday, 27th October 2021

પિતા-પુત્રની આત્મહત્યા, રેલવે ટ્રેક પર મૃતદેહ મળ્યા

ટિકિટ લેવા જઈએ છીએ કહીને ઘરેથી નિકળ્યા હતા : ફેક્ટરી માલિક પિતા અને પુત્રએ કયા કારણોસર આ પગલુ ભર્યું તે મામલે તપાસ પોલીસ દ્વારા ચાલી રહી છે

વડોદરા , તા.૨૭ : શહેરના અલકાપુરીમાં રહેતા પિતા-પુત્રએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ ટિકિટ લેવા જઈએ છીએ કહીને ઘરેથી નીકળ્યા હતા અને બાદમાં મકરપુરા રેલવે સ્ટેશન નજીક રેલવે ટ્રેક પરથી બંનેની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતક ઉદ્યોગપતિ હોવાનું સામે આવ્યું છે.

મીડિયા રિપોર્ટ મુજબ પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા પાસેના મકરપુરા અને વરાણામા રેલવે ફાટક વચ્ચે મંગળવારના રોજ સાંજે બે મૃતદેહો મળી આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અકસ્માતનો બનાવ હોવાથી રેલવે પોલીસ પણ દોડી આવી હતી. જ્યાં બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે પોલીસે પૂછપરછમાં મૃતક બંને પિતા અને પુત્ર શહેરના અલકાપુરી વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, લકાપુરી વિસ્તારમાં આવેલી સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા ૭૩ વર્ષીય દિલીપભાઇ વિમલભાઇ દલાલ અને તેમના ૪૩ વર્ષીય પુત્ર રસેશ દિલીપભાઇ દલાલે આપઘાત કર્યો હતો. મંગળવારે સાંજે તેઓ 'ટિકિટ લેવા જઈએ છીએલ્લ તેવુ કહીને ઘરેથી નીકળ્યા હતા. ફેક્ટરી માલિક પિતા અને પુત્રએ કયા કારણોસર આ પગલુ ભર્યું તે મામલે આગળની તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પિતા અને પુત્રએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે હજી સુધી જાણ શકાયું નથી. જેથી ચોક્કસ કારણ જાણવા સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ઘમઘાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મૃતકોના પરિવાર અને તેમના પરિચિત લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ તો ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

(9:20 pm IST)