ગુજરાત
News of Wednesday, 27th October 2021

એશિયાના સૌથી મોટા ઉંઝા માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાક મહિનાથી એક્‍સપોર્ટમાં સતત ઘટાડોઃ આ વર્ષે 56 લાખના બદલે 28 લાખ બોરીઓનું એક્‍સપોર્ટ થયુ

પેસ્‍ટીસાઇઝન ઉપયોગ વધતા એક્‍સપોર્ટરો દ્વારા મરી-મસાલાને રિજેક્‍ટ કરાતા વેપારીઓ હેરાન

મહેસાણા: એશિયાના સૌથી મોટા ઊંઝા માર્કેટ યાર્ડમાંથી વર્ષે કરોડો રૂપિયાના મરી મસાલાનું એક્સપોર્ટ દુનિયાના અનેક દેશોમાં થાય છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી એક્સપોર્ટ (export) માં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેનાથી ઊંઝા એક્સપોર્ટરો દ્વારા ઊંઝા એપીએમસી (APMC) ના ચેરમેન દિનેશ પટેલ રજૂઆત કરાઈ હતી. 

આ વર્ષે 56 લાખને બદલે 28 લાખ બોરીનું એક્સપોર્ટ થયું

ઊંઝા માર્કેટ યાર્ડમાંથી દર વર્ષે જીરું, વરિયાળી, ઇસબગુલ, સહિત અનેક મરી મસાલાનું એક્સપોર્ટ વિદેશોમાં કરવામાં આવે છે. પરંતુ હાલમાં ચાઇના સહિત અનેક દેશો દ્વારા પોતાના નિયમોના ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અહીથી જે માલ મોકલવામાં આવે છે, તેમાં પેસ્ટીસાઇઝનું પ્રમાણ વધારે હોવાથી અહીંના એક્સપોર્ટરોનો માલ રિજેક્ટ થાય છે. છેલ્લા વર્ષે ઊંઝા માર્કેટમાંથી 56 લાખ બોરીનું એક્સપોર્ટ થયું હતું, જે આ વર્ષે અંદાજિત 28 લાખ બોરી જેટલું જ થયું છે. જેથી ખેડૂતો પેસ્ટીસાઈઝનો ઉપયોગ ઓછો કરે અને ઓગોનિક ખેતી કરે તે માટે આજ રોજ ઊંઝા એક્સપોર્ટરો દ્વારા ઊંઝા એપીએમસીના ચેરમેનને રજૂઆત કરી હતી. તેમની વાત સરકાર સુધી પહોંચાડી ખેડૂતોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવા માટેની ભલામણ કરી હતી. 

ખેડૂતો દવાનો ઉપયોગ વધુ કરે છે

એક્સપોર્ટર મિતેશ પટેલે જણાવ્યું કે, જીરૂ, વરિયાળી અને ઇસબગુલ સંવેદનસીલ પાક છે. અન્ય પાકોની સરખામણીએ મસાલા પાકોમાં રોગ-જીવાત ઝડપી લાગે છે. રોગ-જીવાતથી પાકને રક્ષણ આપવા તેમજ વધુ ઉતારો મેળવવા ખેડૂતો દવાઓનો ઉપયોગ વધુ કરે છે. જેથી માલ વિદેશોમાં રિજેક્ટ થાય છે. જો ખેડૂતો દવાનો ઉપયોગ ઓછો કરે તો ખેતપેદાશો અન્ય દેશોમાં જલ્દીથી પાસ થઈ શકે તેમ છે.  

(5:09 pm IST)