ગુજરાત
News of Friday, 27th September 2019

સુરતમાં વૈશાલી વડાપાંઉની દુકાનમાં વડાપાંઉમાંથી મોટી ઇયર નીકળીઃ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ

સુરત :છેલ્લાં કેટલાક સમયથી બહારના ફૂડમાંથી જીવાતો નીકળવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જેનો સીધો અર્થ એ થાય છે કે, ગ્રાહકોને રૂપિયા ખર્ચવા છતા પણ ક્વોલિટી ફૂડ મળતુ નથી. ત્યારે સુરતના રૂસ્તમપુરા વિસ્તારની આવી જ એક ઘટના સામે આવી છે. જેમાં વૈશાલી વડાપાંઉની દુકાનમાંથી ખરીદાયેલા વડાપાંઉમાંથી જીવાત નીકળી હતી. ગઇકાલે મોડી સાંજથી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે.

સુરત શહેર ખાણીપીણી માટે જાણીતું છે. પણ અહીં લારી ગલ્લા કે નાની દુકાનો પર વેચાતી ખાદ્યસામગ્રી વેચાય છે તે અનહેલ્થી હોય તેની હકીકત સામે આવી છે. તેવામાં રુસ્તમપુરા વિસ્તારમાં આવેલા વૈશાલી વડાપાઉંમાં વડામાંથી જીવાત નીકળતા વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. તે બાદ સુરત મનપાના સેન્ટ્રલ ઝોન અને ફૂડ વિભાગના અધિકારીઓ તપાસ માટે પહોંચ્યા હતા. ચેકીંગ દરમ્યાન દુકાનમાં મૂકેલી ખાદ્યસામગ્રી અનહેલ્થી સ્થિતિમાં  કંડીશનમાં મળી આવી હતી. જે તમામ જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો. જોકે દુકાનદારે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે ગ્રાહક ઘરે પાર્સલ લઈ ગયો હતો અને પછી આવીને તેણે વડામાં જીવાત નીકળી હોવાની ફરિયાદ કરી હતી. તેથી તેની વાત માનવામાં આવે તેમ નથી. દુકાનદારે વડાપાઉં બનાવવા માટે યોગ્ય સ્વચ્છતા રાખવામાં આવી હોવાની વાત કરી હતી.

આમ, ફૂડ સેફ્ટીને લઇ થતી મોટી વાતોની હવા નીકળી છે. ગઇકાલે મોડી સાંજથી સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં રેસ્ટોરન્ટ્સની મોટી બ્રાન્ડ્સમાં ફૂડ સેફ્ટીને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

(5:28 pm IST)