દશામાની મૂર્તિઓનું નદી કે દરિયામાં વિસર્જનની મંજૂરી આપો : સુરતમાં સાંસ્કૃતિક રક્ષા સમિતિએ કલેક્ટરને આપ્યું આવેદન
ઉત્સવ પૂર્ણ થવામાં માત્ર બે દિવસની વાર હોય વિસર્જનની પરવાનગી આપવા માંગ
સુરત: સાંસ્કૃતિક રક્ષા સમિતિના અગ્રણીઓએ સુરત મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી દશામાની મૂર્તિઓનું નદી કે દરિયામાં વિસર્જન કરવાની મંજૂરી આપવાની માંગણી કરી હતી.
આવેદન આપતા સમયે સમિતિના પ્રમુખ આશિષ સૂર્યવંશી અને અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે હાલમાં ચાલી રહેલ દશામાં માતાજીનો ઉત્સવ પૂર્ણ થવાના બે દિવસ બાકી છે. શહેરના ભક્તોજનોએ ધાર્મિક પરંપરાગત મુજબ આ વખતે પણ પોતાના ઘરમાં માતાજીની પ્રતિમાની સ્થાપના કરેલ છે અને તેના દશ દિવસ પુરા થતા તે મૂર્તિનું વિસર્જન નદી/તળાવ/દરિયામાં કરવાનું હોય છે. વિસર્જનના ફક્ત બે દિવસ બાકી રહ્યા છે જેથી શહેરીજનોની ધાર્મિક લાગણી દુભાય નહીં અને કોવિડ-19 ના નીતિ નિયમોનું ભંગ થાય નહીં તે મુજબ કુત્રિમ તળાવની વ્યવસ્થા ઝોન વાઇસ અલગ-અલગ વિસ્તારમાં કરી આપવામાં આવે.જો તે શક્ય ન હોય તો નદી/દરિયામાં વિસર્જન કરવાની પરવાનગી આપવામાં આવે અને તેની જલદીથી જાહેરાત કરવામાં આવે તેવી માંગણી કરી હતી.