ગુજરાત
News of Monday, 27th July 2020

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં વધુ એક લાપરવાહી : વેન્ટિલેટર ચાલુ ન કરતા દર્દીનું મોત થયાનો આક્ષેપ

કોરોના પોઝીટીવ દર્દી ગંભીર હાલતમાં દાખલ તો થયા પરંતુ વેન્ટિલેટર ચાલુ કરનાર કર્મચારી રજા પર હોય દર્દીનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોમાં રોષ,તપાસ જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૩૦૦ને પાર કરી ગયો છે ચાર મહિનાથી આ મહામારીમાં લોકો ઝઝુમી રહ્યા હોવા છતાં લાખોના ખર્ચે રાજપીપળાની કોવિડ-૧૯ માં એક બાદ એક લાપરવાહીની બુમો સાંભળવા મળે છે ત્યારે રવિવારે રાજપીપળાના એક દર્દીનું મોત થતા તેમને વેન્ટિલેટર પર ન રખાયા હોવાના આક્ષેપો થયા છે.
રાજપીપળા કોવિડમાં દાખલ માલીવાડના એક વેપારીનું રવિવારે કોવિડ ખાતે મોત થયા બાદ પરિવાર ના સભ્ય અને પોતે વકીલ રાજેશભાઇ માલી એ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મારા સંબંધી સનતભાઈ માલીને કોવિડમાં દાખલ કર્યા ત્યારે ત્યાંના એક તબીબે ગંભીર હાલત હોવાનું જણાવ્યું પરંતુ તેમને વેન્ટિલેટર પર નહિ રાખતા એમ જાણવા મળ્યું કે વેન્ટિલેટર ચાલુ કરવા વાળા વ્યક્તિ રજા પર ગયા છે માટે સામાન્ય સારવાર આપી હોય જેમાં તેમનું મોત થયું હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.
 ત્યારબાદ આ સંબંધી એ સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તા ને ટેલિફોનિક વાત કરતા તેમને પણ કબુલ્યું કે વેન્ટિલેટર વાળા ભાઈ શનિ-રવિવારની બે દિવસ રજા પર ગયા છે.તો આક્ષેપ કરતા રાજેશ માલી એ અમને જણાવ્યું કે આ હોસ્પિટલમાંમાં આઇસીયું હોવા છતાં કોઈ ગંભીર દર્દીને ત્યાં દાખલ કરતા નથી મારા સગા ને વેન્ટિલેટર ની જરૂર હોવા છતાં કર્મચારી રજા પર હોવાનું જણાવ્યું તો સવાલ એ થાય કે એક કર્મચારી રજા પર હોય તો બીજા ની વ્યવસ્થા કેમ ન કરાઇ..?
રાજપીપળા કોવિડ જાણે શોભના ગાંઠિયા સમાન જ હોય તેમ દાખલ દર્દીઓ ની કોઈજ કાળજી નહિ લઈ ફક્ત ત્યાં સુવડાવી રાખી દવાઓ સિવાય અન્ય કોઈજ સારવાર થતી ન હોવાની એક બાદ એક બુમો સંભળાઈ રહી હોય રવિવારે આ દર્દી ના મોત બાદ પણ મીડિયા ને અપાતા લિસ્ટ માં મોત નો કોઈ ઉલ્લેખ નથી..? ઉચ્ચ કક્ષા ની તપાસ અને યોગ્ય સારવાર મળે તે જરૂરી છે.નહિ તો દર્દીઓને વડોદરા ધકેલી અપાશે અથવા અમુક મોતને ભેટશે.
આ બાબતે સિવિલ સર્જન જ્યોતિબેન ગુપ્તા એ જણાવ્યું કે વેન્ટિલેટર માટે એકજ વ્યક્તિ છે જે ચાર મહિના થી સતત કામ કરે છે અને શનિ-રવિ રજા પર હતા જેથી બુમ આવી પરંતુ અમે બીજા સ્ટાફ ની માંગ કરી જ છે, કલેક્ટર સાહેબ ની સહી થી પણ પત્ર મોકલ્યો છે. હવે ઉપર થી વ્યવસ્થા થશે ત્યારે તકલીફ દૂર થાય. બાકી અમે જરૂરી સ્ટાફ ની ઉપર થી માંગ કરી જ છે.

(8:17 pm IST)