ગુજરાત
News of Monday, 27th July 2020

ગાંધીનગર નજીક ખોરજ ગામેથી પસાર થઇ રેલવે લાઈનની નીચે માર્ગમાં પાણી ભરાઈ જતા લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી

ગાંધીનગર નજીક આવેલાં ખોરજ ગામ પાસેથી પસાર થતી રેલ્વે લાઇન નીચે આવેલાં ગરનાળાથી રીગરોડ તરફ જવાના માર્ગ ઉપર રોજના અસંખ્ય લોકોની અવર જવર થાય છે. તાજેતરમાં થયેલાં વરસાદમાં ગરનાળામાં પાણી ભરાઇ જવાના કારણે અવર જવર કરતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરાયેલા પાણીનો નિકાલ નહીં થતાં ગ્રામજનો પણ ત્રસ્ત થઇ રહ્યાં છે. જેથી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી રેલ્વે લાઇનનોની આસપાસ આવેલાં ઘણાં ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતાં લોકોને અવર જવરમાં સાનુકૂળતા રહે તે માટે ગરનાળા બનાવવામાં આવ્યા છે. તો ઘણી જગ્યાએ અંડરબ્રીજ પણ રેલ્વે લાઇનની નીચે ઉભા કરાયાં છે. ત્યારે ગરનાળાઓમાં ચોમાસાની મોસમમાં પાણી ભરાઇ જવાના કારણે વાહનવ્યવહાર પણ અટકી જતો હોય છે અને ગ્રામજનોને હેરાન પરેશાન થવું પડે છે. આમ શહેર નજીક આવેલાં ખોરજ ગામ પાસે આવેલાં રેલ્વે ગરનાળાનો ઉપયોગ કરીને ગ્રામજનો રીંગરોડ તરફ જતાં હોય છે. રોજના અસંખ્ય લોકો માર્ગનો ઉપયોગ કરે છે. રીંગ રોડ તરફ જવાના માર્ગ ઉપર તાજેતરમાં થયેલાં વરસાદના પગલે પાણીનો યોગ્ય રીતે નિકાલ નહીં થતાં રેલ્વે ગરનાળામાં ભરાઇ ગયું છે. જેથી અવર જવર કરતાં વાહનચાલકો તેમજ રાહદારીઓને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને જીવના જોખમે પસાર થવાની નોબત આવી છે

(5:27 pm IST)