વડોદરાની વાઘોડિયા સમૃદ્ધિ સોસાયટીમાં નોકરીએથી પરત આવી યુવાને અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરા:વાઘોડિયાની સમૃધ્ધિ સોસાયટીમાં રહેતા યુવકે નોકરીએથી પરત આવીને ઘરમાં જ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જો કે યુવકના આપઘાતનું કારણ હજીસુધી જાણી શકાયું નથી.
મુળ રાજસ્થાનનો બલવીરસિંહ શાર્દુલસિંહ રાણા વાઘોડિયાના ખંધા ગામે આવેલી આર.આર. કાબેલ કંપનીની કેન્ટીનમાં રસોઇયાનું કામ કરે છે. તેની નોકરીનો સમય સવારે ૮ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી અને ત્યારબાદ સાંજે પાંચ વાગ્યાથી રાત્રિના આઠ સુધીનો છે. ગઇકાલે બપોરે બે વાગે નોકરીએથી છુટીને તે ઘરે ગયો હતો અને સાંજે સાડા પાંચ વાગ્યા સુધી તે નોકરી પર નહી જતા સાથી કર્મચારીઓએ સતત તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બલવીરસિંહે ફોન રિસીવ કર્યો ન હતો.
જેથી સાથી કર્મચારીઓએ બલવીરસિંહના મિત્રોને જાણ કરી હતી. મિત્રોએ બલવીરના ઘરે જઇને તપાસ કરતા દરવાજો અંદરથી બંધ હતો. તેઓને કંઇક અજુગતુ થયુ હોવાની શંકા જતા દરવાજો તોડીને અંદર ગયા હતા. ઘરમાં જઇને જોયુ તો બલવીરે ગળાફાંસો ખાઇ લીધો હતો.