દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ અને સહકારી આગેવાન જયેશ પટેલ ભાજપમાં જોડાયા
અમદાવાદ: દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ આજે ભાજપમાં જોડાયા. તેઓ ઓલપાડના વતની અને સહકારી આગેવાન છે. સુમુલ ડેરીમાં છેલ્લા 20 વર્ષથી ડિરેક્ટર છે. ઓલપાડ ખરીદ વેચાણ સંઘના પ્રમુખ રહી ચૂક્યા છે. જયેશ પટેલના ભાજપના જોડાવા પર પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કહ્યું કે સ્થાનિક સહકારી આગેવાનોની ઈચ્છા હતી કે જયેશભાઈ ભાજપમાં જોડાય. તેઓ પહેલેથી ભાજપની પેનલ સાથે જોડાયેલા છે. ચૂંટણીમાં અમારી જીત નિશ્ચિત જ છે. પણ આ જીત સંઘર્ષ વગર થાય તે જરૂરી છે. આદિવાસી પશુપાલકોના ભલા માટે જયેશભાઈનો સાથ સહકાર મળ્યો છે.
અત્રે જણાવવાનું કે સુમુલ ડેરી સુરત અને દક્ષિણ ગુજરાતની મોટી ડેરી છે. 2.5 લાખથી વધુ પશુપાલકો તેની સાથે જોડાયેલા છે. સુમુલ ડેરી સારી ક્વોલિટીનું દૂધ લોકોને પહોંચાડે છે. ડેરીની ચૂંટણીમાં કોઈ જૂથ નથી. બધા ભાજપના આગેવાનો અને કાર્યકરો છે. હું આજે પણ મારી વાત પર કાયમ છું. ગુજરાતમાં ભાજપની સરકાર મજબુત છે. મેં કાર્યકરો માટે વાત કરી હતી કે તેમણે પક્ષને જીતાડવાનો છે. કાર્યકરોના દમ પર જ લડીશું અને જીતીશું. કાર્યકરો પૂરી મહેનત કરશે એટલે કોઈને લાવવાની જરૂર રહેશે નહીં. કોંગ્રેસને મારે કોઈ જવાબ આપવાની જરૂર નથી. હું મારા પક્ષ અને મારા કાર્યકરો માટે શું સારુ છે તે કામ કરું છું.
ભાજપમાં જોડાયા બાદ પત્રકાર પરિષદમાં ખેડૂત નેતા જયેશ પટેલે કહ્યું કે છેલ્લા 20-25 વર્ષોથી ખેડૂતો માટે કામ કરુ છું. છેલ્લા 2 મહિનાથી ગણપત વસાવા, ઈશ્વર પરમાર સાથે ખેડૂતોના પ્રશ્ને ઉકેલ લાવવા ચર્ચા કરી હતી. ખેડૂતોના હિત માટે સરકાર કામ કરવા તૈયાર છે. ત્યારે ભાજપમાં જોડાવવાનો નિર્ણય લીધો છે. સહકારી પ્રવૃત્તિમાં ભાજપ- કોંગ્રેસ હોતુ નથી.
બુલેટ ટ્રેન વિશે વાત કરતા કહ્યું કે બુલેટ ટ્રેનનું અમારું આંદોલન હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની બેઠકમાં તેનો ઉકેલ આવ્યો છે. 5 ગામોની જમીન અઁગે સરકારે વાત સ્વીકારી છે. ખેડૂતોને વધુ ભાવ મળ્યો છે. આગામી દિવસોમાં નવસારી અને વલસાડના ખેડૂતોના પ્રશ્નો પણ ઉકેલીશું. જો કે તેમણે કહ્યું કે એક હજાર કરોડના દેવા પર કાયમ છું.