ગુજરાત
News of Monday, 27th July 2020

વડોદરામાં નદી-તળાવમાં દશામાની મૂર્તિઓ ન પધરાવવા તંત્ર દ્વારા આદેશઃ રૂા.પાંચ હજારનો દંડ કરાશે

વડોદરા: હાલ ગુજરાતમાં શ્રાવણ મહિનાની સાથે સાથે દશામાનો તહેવાર પણ ઉજવાઈ રહ્યો છે. ગુજરાતના અનેક પરિવારોમાં ઘરોમાં દશામા બેસાડવામાં આવ્યા છે. પરંતુ દશામાના તહેવારને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાને કારણે ભક્તો દશામાના તહેવારને પણ માણી શક્તા નથી. આવામાં વડોદરામા નદી તળાવમાં દશામાની મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ લગાવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા મુજબ, વડોદરામાં નદી કે તળાવમાં મૂર્તિ વિસર્જન કરનારાને 5 હજાર રૂપિયાનો દંડ કરાશે. મૂર્તિ વિસર્જન કરનારા સામે પોલીસ કેસ કરવામાં આવશે. 29 તારીખે દશામાતાની મૂર્તિનું વિસર્જન કરાશે. ત્યારે ભક્તો વિમાસણમાં મૂકાયા છે. પ્રતિબંધ મૂકાતા હવે દશામાની મૂર્તિનુ ઘરે જ વિસર્જન કરવુ પડશે.

વડોદરાના તળાવમાં દશામાની મૂર્તિ વિસર્જન કરવા પર પ્રતિબંધ લગાવતા વિવાદ ઉભો થયો છે. દશામાં ભક્તોમાં પાલિકાના નિર્ણયને લઈ રોષ જોવા મળ્યો છે. પાલિકા કમિશનરે તળાવમાં વિસર્જન કરનારને 5000 નો દંડ કરાશે તેવું જાહેરનામુ બહાર પાડ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં 9 હજાર ઘરોમાં દશામાતાની મૂર્તિઓની સ્થાપના થાય છે.

તો બીજી તરફ, પાલનપુર નજીક આવેલા સુપ્રસિધ્ધ બાલારામ મહાદેવના સોમવારે દર્શન પર પ્રતિબંધ મૂકાયો છે. બલરામ મહાદેવ ખાતે લાગતા રવિવાર તથા સોમવારના મેળા બંધ કરાયા છે. તહેવારો દરમ્યાન દશામાંની મૂર્તિ વિસર્જન પર પણ પ્રતિબંધ લગાવાયો છે. બાલારામ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ રહેશે. વધતા જતા કોરોના સંક્રમણને લઈને આ નિર્ણય લેવાયો છે.

(4:47 pm IST)