ગુજરાત
News of Monday, 27th June 2022

આંકલાવ તાલુકાના સુદણ પાટિયા નજીક પુરપાટ ઝડપે જતા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા એક મહિલાનું કમકમાટીભર્યું મોત

આણંદ : આંકલાવ તાલુકાના આસોદરથી વાસદ હાઈવે ઉપર સુદણ પાટીયા નજીક એક મોટરકારના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવી મોટરસાયકલને ટક્કર મારતા એક મહિલાનું સારવાર દરમ્યાન કરૂણ નીપજ્યું હોવાનો બનાવ આંકલાવ પોલીસ મથકે નોંધાયો છે. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આંકલાવ તાલુકાના આસોદર ખાતે જુની ઘંટીની સામે, મહીડા ફળીયામાં રહેતા સચીનકુમાર જીતેન્દ્રભાઈ ઉર્ફે લાલો પંડયા મોટરસાયકલ ઉપર ધર્મિષ્ઠાબેન અને હીનાબેનને બેસાડી કામકાજ અર્થે નીકળ્યા હતા. 

દરમ્યાન તેઓની મોટરસાયકલ આસોદરથી વાસદ હાઈવે ઉપર સુદણ પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે અજાણ્યા મોટરકારના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને બેફિકરાઈથી હંકારી લાવી મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા મોટરસાયકલ ઉપર સવાર ત્રણેય રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતમાં ધર્મિષ્ઠાબેનને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં હીનાબેનને પણ શરીરે વધતા ઓછા પ્રમાણમાં ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે સચીનકુમાર પંડયાએ આંકલાવ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:21 pm IST)