‘‘જે થશે, જોયું જશે'': ફિલ્મની આવક શહીદ પરિવાર- જરૂરિયાતમંદ દિકરીઓને અપાશે
(કેતન ખત્રી), અમદાવાદઃ મોગલ મહેર ફિલમના બેનર તળે બનેલી અર્બન ગુજરાતી ફિલ્મ ‘‘જે થશે, જોયું જશે'' ના નિર્માતા કુલદીપ દવે છે. સહ નિર્માતા પલ્લવી કે. દવે, નટુભાઈ વાળા, દિવ્યકાંત બોરસદીયા, ડીરેકટર રાજા સાહેબ (મીઠાપુર) છે. જયારે કલાકારોમાં કિર્તીદાન ગઢવી, કુલદીપ દવે, નિકીતા પટેલ, સમર્થ શર્મા, નિરવ કલાલને જીગ્નેશ મોદી છે.
આજની યુવા પેઢીમાં હતાશાને કારણે આત્મ હત્યાના અને વ્યસનના બનાવો વધતા જાય છે ત્યારે યુવા પેઢીને જાગૃત કરી જીવન જીવવાની પ્રેરણા આપતી ફિલ્મ કિર્તીદાન ગઢવીના વિશેષ સહકારથી બનાવવામાં આવી છે. ફિલ્મની આવકનો અડધો હિસ્સો શહીદ પરિવારોને જરૂરિયાતમંદ દિકરીઓને અર્પણ કરાશે.
‘જે થશે, જોયું જશે'નું સંગીત રાહુલ મુજારીયા અને કિશોર ભટ્ટનું છે. ગીતો મીલીન્દ ગઢવી અને કુલદીપ દવે એ લખ્યા છે તો સ્વર કિર્તીદાન ગઢવી અને ચૈતાલી છાયાનો મળ્યો છે. કેમેરામેન પ્રકાશ ચાવડાએ ડાકોર, રાજકોટ, દુધાળા, ગલતેશ્વરને વડોદરા જેવા નયનરમ્ય લોકેશનમાં ફિલ્મને કચકડે કંડારી છે. ફિલ્મનું ટાઈટલ ‘જે થશે, જોયું જશે' યુવાનોને બિન્દાસ જીવન જીવવાની પ્રેરણા આપી રહેલ છે.