વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા પાટીદાર મેટ્રીમોનિયલ સર્વિસ સેન્ટર શરૂ કરાયું
રાજ્યમાં પાટીદારોમાં યુવકોની સરખામણીએ યુવતીઓની ઓછી સંખ્યાને કારણે યુવકોના લગ્નોમાં પડી રહેલી સમસ્યાના નિવારણ માટે : અન્ય રાજ્યોની પાટીદાર દીકરીઓને વિશ્વ ઉમિયાધામના વિવિધ ટ્રસ્ટીઓ દત્તક લેશે : તેમના લગ્ન વિશ્વ ઉમિયા ધામ મંદિરમાં નિઃશુલ્ક કરાવવામાં આવશે : અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આ સેન્ટર શરૂ કરાયું છે
અમદાવાદ,તા. ૨૭: વિશ્વ ઉમિયા ધામ દ્વારા અમદાવાદમાં મેટ્રીમોનિયલ સર્વિસ સેન્ટરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. આ સર્વિસ સેન્ટરનો હેતુ પાટીદારોના દીકરા-દીકરીઓને યોગ્ય જીવનસાથીની પસંદગી કરવામાં મદદ કરવાનો છે. આ સર્વિસ સેન્ટર પાટીદાર સમાજમાં લગ્નેત્તર સંબંધોમાં પ્રવર્તી રહેલી દીકરીઓના ઘટ દૂર કરવા નવતર પ્રયોગ કરશે તેમ સંસ્થાના પ્રણેતા અને પ્રમુખ આર પી પટેલે જણાવ્યું હતું.
આ સર્વિસ સેન્ટર અમદાવાદના સાયન્સ સિટી નજીક આવેલા ફોર્ચ્યુન બિઝનેસ હબમાં શરૂ કરાયું છે. સેન્ટરનું ઉદ્ઘાટન કથાકાર રાજેન્દ્રપ્રસાદ શાષાી, જોષીપુરાવાળાના હસ્તા કરાયું હતું. આ પ્રસંગે સાણંદના ડેપ્યુટી કલેક્ટર તમન્ના ઝાલોડિયા સહિત સંસ્થાના વરિષ્ઠ ટ્રસ્ટીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઓફિસ વિશ્વ ઉમિયાધામના સિલ્વર દાતા ટ્રસ્ટી જગદીશભાઈ દેસાઈ (પટેલ)એ નિઃશુલ્ક આપી છે.
સંસ્થાના પ્રમુખ આર પી પટેલે જણાવ્યું હતું કે, આ મેટ્રીમોનિયલ સેન્ટર દ્વારા અન્ય રાજયોમાં રહેતા કુર્મી પાટીદારોની દીકરીઓને ગુજરાત લવાશે. આ અન્ય રાજયોમાંથી આવતી દીકરીઓને ગુજરાતમાં વસતા પાટીદાર યુવકો સાથે લગ્ન કરાવાશે. વિશ્વ ઉમિયા ધામ મંદિર ખાતે આ લગ્ન નિઃશુલ્ક કરાવાશે. અન્ય રાજયોમાંથી આવતી દીકરીઓને વિશ્વ ઉમિયા ધામના વિવિધ ટ્રસ્ટીઓ દત્તક લઈ તેમના પાલક માતા-પિતા બનશે, જેથી તેઓને પિયરની ખોટ પૂરી થશે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદના જાસપુર ખાતે લગભગ ૧ હજાર કરોડના ખર્ચે મા ઉમિયાનું ૪૩૧ ફૂટ ઊંચું મંદિર બની રહ્યું છે. આ મંદિર વિશ્વનું સૌથી ઊંચું મંદિર હશે. ગત ૨૦ જૂને જ યોગગુરુ બાબા રામદેવેએ ઉમિયા માતાજીના નવનિર્મિત મંદિરની શિલાનું પૂજન કર્યું હતું.