વડોદરાના સમા પી.એમ.આવાસ યોજનામાં રહેતા શ્રમજીવી યુવકે ઘરકંકાસથી પત્ની પિયર જતી રહેતા ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરા: શહેરના સમા પી.એમ. આવાસ યોજનાના મકાનમાં રહેતા શ્રમજીવી યુવક અને તેની પત્ની વચ્ચે ઘરકંકાસ થતા પત્ની પિયર જતી રહી હતી અને યુવકે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધુ હતું.
પી.એમ. આવાસ યોજનાના મકાનમાં રહેતો રણજીત રમેશભાઇ પાટીલ (ઉ.વ.૩૦) છુટક મજુરી કરતો હતો. પતિ-પત્ની વચ્ચે કંકાસ થતો હોઇ તેની પત્ની નાના પુત્રને લઇને ત્રણ દિવસ પૂર્વે પિયર મહારાષ્ટ્ર જતી રહી હતી. ઘરમાં એકલા જ રહેતા રણજીત પાટીલે પંખામાં દોરડુ બાંધીને આપઘાત કરી લીધો હતો. રણજીતના મકાનની જાળી બંધ હતી પરંતુ દરવાજો ખુલ્લો હતો. સવારે સામેના મકાનમાં રહેતા શખ્સે રણજીતને પંખા પર લટકતો જોતા રણજીતના ભાઇને ફોન કરીને બનાવની જાણ કરી હતી.
બનાવની જાણ સમા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ઘટનાસ્થળેથી રણજીતના હાથે ત્રુટક-ત્રુટક રીતે મરાઠી ભાષામાં લખેલી ચિઠ્ઠી મળી આવી હતી. જે ચિઠ્ઠી પોલીસે કબજે લીધી છે. રણજીત ઓછુ ભણેલો હોઇ તેને બરાબર લખ્યુ ન હતું.