વડોદરાના આજવારોડ વિસ્તારમાં લગ્નની લાલચ આપી વેપારીએ યુવતી પર દુષ્કર્મ આચરતા અરેરાટી મચી જવા પામી
વડોદરા: શહેરના આજવારોડ વિસ્તારમાં રહેતા બે સંતાનોના પિતા તેમજ વેપારીએ ૩૬ વર્ષની એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી રાજ્યના વિવિધ ધાર્મિક સ્થળોએ લઇ જઇ વારંવાર બળાત્કાર ગુજાર્યા બાદ યુવતીને દુબઇ મોકલી દીધી હતી. જો કે વેપારીની બદદાનતનો પર્દાફાશ થતા દુબઇથી આવેલી યુવતીએ આખરે વેપારી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારીની ધરપકડ કરી છે. યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ઓગસ્ટ-૨૦૨૧માં મેં આજવારોડ પર પટેલ કોર્પોરેશનના નામે ટેન્ટનો ધંધો કરતા ચિરાગ મોહનભાઇ પટેલની ઓફિસમાં નોકરી શરૃ કરી હતી. આ સમયે ચિરાગે મને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી સોમનાથ, સાસણગીર, અંબાજી જેવા સ્થળોએ ફરવા માટે લઇ જતો હતો અને આ સ્થળે મારી સાથે શરીરસુખ માણ્યું હતું. બાદમાં ચિરાગે મને દુબઇ મોકલી હતી અને ત્યાં હું લગ્ન કરવા માટે આવીશ તેમ કહ્યું હતું. હું દુબઇ ગયા બાદ એક મહિનો ત્યાં રોકાઇ હતી પરંતુ ચિરાગ લગ્ન કરવા માટે દુબઇ આવતો ન હતો જેથી મે તેને ફોન કરતા તેને ઉશ્કેરાઇ જઇને મને ધમકી આપી હતી કે તું ત્યાં જ રહે તને વડોદરામાં બદનામ કરી દઇશ તેમ કહી જાતિવિષયક શબ્દો ઉચ્ચાર્યા હતાં. લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજારી ધમકી આપતા વેપારીને પાઠ ભણાવવા માટે યુવતી વડોદરા આવી હતી અને તેેને બાપોદ પોલીસમાં બળાત્કાર, એટ્રોસિટિ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.