બહુચરાજીના વાલેવડા પાસે કારનું ટાયર ફાટતાં મામા -ભાણેજના ઘટનાસ્થળે મોત
ઈન્ડીગો કાર લઈને સુરેન્દ્રનગર તરફ દવાખાને જઈ રહ્યા હતા.
બહુચરાજી નજીક નાવિયાણી અને વાલેવડા ગામ વચ્ચે રવિવારે સાંજે ઈન્ડિગો કારનું પાછળનું ટાયર ફાટતાં સર્જાયેલા અકસ્માતમાં મામા-ભાણેજનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.
આ અંગે મળતી વિગત મુજબ બહુચરાજી તાલુકાના શંખલપુર ગામના ગોવિંદજી બળદેવજી ઠાકોર (28) અને હાંસલપુર ગામના જીવાજી ભગાજી ઠાકોર (42) રવિવારે સાંજના ઈન્ડીગો કાર લઈને સુરેન્દ્રનગર તરફ દવાખાને જઈ રહ્યા હતા. તે દરમિયાન નાવિયાણી અને વાલેવડા ગામ વચ્ચે આવેલા જોગણી માતાજીના મંદિર પાસે કારનું પાછળનું ટાયર ફાટતાં કાર પલટી ખાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં મામા અને ભાણેજ જીવાજી ઠાકોર અને ગોવિંદજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત થયું હતું, બંને મૃતકોને બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું હતું. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.