ગુજરાત
News of Monday, 27th May 2019

રાજયભરમાં ૫૪૦૦થી વધુ મિલ્કતોને નોટિસો ફટકારાઇ

સુરતના આગકાંડ બાદ સરકાર સફાળી જાગી : કોર્પોરેશન-નગરપાલિકાએ મળી કુલ ૭૧૩થી વધુ ટીમો બનાવી : ટેરેસ અને બેઝમેન્ટમાં ચાલતા ક્લાસીસો બંધ

અમદાવાદ,તા. ૨૬ : સુરતના ભયાવહ અગ્નિકાંડ અને તેમાં ૨૩ વિદ્યાર્થીઓના અકાળે મોતની ચકચારી અને હૃદયદ્રાવક દુર્ઘટના બાદ હવે રાજય સરકાર સફાળી જાગી છે અને તંત્ર દોડતુ થયુ છે. રાજય સરકારે રાજયના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકા કક્ષાએ ૨૦૫૫થી વધુ અધિકારીઓની જુદી જુદી કુલ ૭૧૩થી વધુ ટીમો બનાવી તેના મારફતે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના શહેરોમાં ફાયરસેફ્ટીની સુવિધા અને જોખમી પાસાઓની ચકાસણી માટેનું રાજયવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. જે અંતર્ગત અત્યારસુધીમાં આ ટીમો દ્વારા અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં મળી કુલ ૯૯૬૫ મિલ્કતોની તપાસ કરવામાં આવી છે, જેમાંથી ફાયરસેફ્ટી ના હોય કે અન્ય કોઇ ગંભીર જોખમી ખામી હોય તેવી ૫૪૦૦થી વધુ મિલકતોને નોટિસ અપાઇ છે તો, ફાયરસેફ્ટીની સુવિધા ના હોય તેવી મિલ્કતોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઇ રહી છે. ખાસ કરીને બેઝમેન્ટ કે ટેરેસમાં ચાલતાં કલાસીસ અને જોખમી એકમોને સીલ પણ કરવામાં આવ્યા છે. આ અંગે રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહે જણાવ્યું હતું કે, સુરત આગકાંડ પ્રકરણમાં સુરત ફાયરબ્રિગેડ વિભાગના બે અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સમગ્ર પ્રકરણમાં જે કોઇ કસૂરવારો હશે તેઓની સામે પણ પગલા લેવાશે. દોષિત અધિકારીઓને નોકરીમાંથી બરતરફ કરાશે. તેમણે ઉમેર્યું હતું કે, સુરત જેવી ઘટના ફરી રાજયમાં કોઇ શહેરમાં ના બને તે માટે હવે સરકાર સજાગ બની છે અને આ માટે જરૂરી પગલા અને કાર્યવાહી કરી રહી છે. રાજયમાં ફાયરસેફ્ટીની સુવિધા વિના ધમધમતા કલાસીસ કે કોમર્શીયલ એકમોને સીલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. રાજય સરકારે આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધો છે અને હવે રાજયભરમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે રાજયના વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકા કક્ષાએ ૨૦૫૫થી વધુ અધિકારીઓની જુદી જુદી કુલ ૭૧૩થી વધુ ટીમો બનાવવામાં આવી છે.

 

(9:40 pm IST)