ગુજરાત
News of Sunday, 27th May 2018

ભાવનગરના હીરાના વેપારીએ ૩પ.૯૮ લાખના હીરા મંગાવ્યા બાદ રૂપિયા ન આપતા સુરતમાં પોલીસ ફરિયાદ

સુરતઃ સુરતના વેપારીએ ભાવનગરના હીરાના વેપારી સામે છેતરપિંડીની ફરિયાદ કરી છે અને હીરા પેટેના રૂપિયા ૩પ.૯૮ લાખ ન ચૂકવતા તેની સામે ગુનો નોંધવા પોલીસે તપાસ હાથ ધરી છે.

શહેરના કતારગામ ગોટાલાવાડીના હીરા વેપારી પાસેથી વેચાણ કરવાને બહાને ભાવનગરના હીરા વેપારીએ રૂપિયા ૩૫.૯૮ લાખની હીરા મંગાવ્યા બાદ હીરા કે પેમેન્ટ નહી ચૂકવી ઠગાઈ કરી હોવાની ફરિયાદ કતારગામ પોલીસ મથકમાં નોંધાઈ છે.

કતારગામ દેસાઈ ખડકી ગજાનંદ કોમ્પ્લેક્ષમાં રહેતા ભાઈલાલ ચુનીલાલ દોશી હીરાના ધંધા સાથે સંકળાયેલા છે અને ગોટાલાવાડી ઠાકોરદ્વારમાં ઓફિસ ધરાવે છે. ભાઈલાલ પાસેથી ગત તારીખ ૨૪મીના રોજ ભાવનગરના ખોપાળા ગામે રહેતા ઘનશ્યામ બચુ ગાબાણીએ રૂપિયા ૩૫,૯૮,૬૫૦ની કિંમતના અલગ અલગ ચાર હીરાના પેકેટ વેચાણ કરવાના બહાને લઈ ગયો હતો અને ત્યારબાદ હીરા કે પેમેન્ટ નહી ચૂકવી ઠગાઈ કરી હતી.

સામાન્ય સંજોગોમાં હીરાનો વેપાર માત્ર વિશ્વાસ પર જ ચાલતો હોવાથી પુરતા પુરાવા હોતા નથી. જેના કારણે સંખ્યાબંધ ઘટનામાં ભોગ બનનારી વ્યક્તિ પોલીસ સુધી પહોંચી શકતી નથી. કારણ કે પોલીસ પાસે જવાનું થાય તો પોલીસ સૌથી પહેલા પુરાવા માગે છે. જેના કારણે હીરાના વ્યવસાયમાં થતાં કરોડોના છેતરપિંડીના કિસ્સા પોલીસ સુધી પહોંચતા જ નથી.

(6:43 pm IST)