મહેસાણામાં દંપતીના દીકરા-દીકરોનો કોરોનાએ એક સાથે ભોગ લેતા પરિવારની માથે આભ ફાટ્યું
મહેસાણા: શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસે સંખ્યાબંધ પરિવારોને જીંદગીભર ન ભુલી શકાય તેવું દર્દ આપી દીધું છે. જેમાં વધુ બે કમનસીબ ઘટનાઓ ઉમેરાઈ છે. રામોસણામાં રહેતાએક દંપતીએ માત્ર પાંચ દિવસના ગાળામાં પોતાના જુવાનજોધ બે સંતાનો ગુમાવ્યા છે. જ્યારે ખેરાલુમાં વેન્ટીલેટરના અભાવે બે સંતાનોની માતાએ જીવ ખોયો છે.
મુળ ચાણસ્માના ચંદ્રુમાણાના અને વર્ષોથી મહેસાણા નજીક રામોસણામાં આવેલ વૃંદાવન પાર્ક સોસાયટીમાં પોતાના પરિવાર સાથે સ્થાયી થેલા મહેશભાઈ દવેના માથે જાણે દુઃખોનું ડુંગર તુટી પડયો છે. કોરોના સંક્રમણ થતાં તેમના જુવાનજોધ દીકરો અને દીકરી મોતને ભેટયા છે. ગત તા. ૨૧-૪-૨૦૨૧ ના રોજ તેમની ૨૭ વર્ષીય દીકરી પૂજા વિરેન્દ્ર પંડયાનું કોરોનાને લીધે મોત થયું હતું. પાંચેક દિવસ પછી તેઓના એકના એક ૨૪ વર્ષના પુત્ર જય દવેનું પણ કોરોનાની ગંભીર સારવાર દરમિયાન મોત થતાં હસતો ખેલતો પરિવારમાં માત્ર પાંચ જ દિવસના ભારેખમ સમયગાળામાં માતમ છવાઈ ગયો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે જયના સોમવારે લગ્ન થવાના હતા. બીજી ઘટનામાં ખેરાલુના વેપારી જયંતીલાલ ભાવસારની પુત્રવધુ નેહા કોરોનામાં સપડાતા તેણીને મહેસાણાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવી હતી. જ્યાં પરિણીતાનું ઓક્સિજન લેવલ ઘટી જતાં તાત્કાલિક વેન્ટીલેટરની જરૃર પડી હતી. પરંતુ આ હોસ્પિટલમાં તેની સુવિધા ન હોવાથી પરિવારે વેન્ટીલેટર બેડની વ્યવસ્થા માટે દોડાદોડ કરી મુકી હતી. પરંતુ કોઈ મેળ ન પડતાં છેવટે દરદીને અમદાવાદ લઈ જતા હતા ત્યારે માર્ગમાં તેણીનું મોત થતાં બે નાનકડા બાળકોની માતાએ વેન્ટીલેટર ન મળવાને કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.