જેની કવિતાએ પથ્થરમાં પ્રાણ પુર્યા એવા પદ્મશ્રી કવિ દાદ બાપુ પ્રકૃતિપ્રેમી હતા
સદગતનો દિવ્ય આત્મા-પરમાત્મામાં લીન થાય એજ પ્રાર્થનાઃ કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાની અંજલી
રાજકોટ, તા., ર૭: પદ્મશ્રી કવિ શ્રી દાદબાપુને કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્ત્।મભાઈ રૂપાલાએ શ્રધ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતને ગૌરવ અપાવનાર ઋષિતુલ્ય કવિવર દાદબાપુ આપણી વચ્ચે નથી રહ્યા તેવા સમાચાર આઘાત પમાડે તેવા છે.
જેમની કવિતાઓ એ પથ્થરમાં પ્રાણ પૂર્યા છે, પાષાણ હૃદયના પુરુષમાં એમણે દીકરીનો વહાલ વરસાવ્યો છે, હિરણ જેવી નદીને જીવંત બનાવી છે, અને આવા અનેક વિષયોને લઈને અગણિત કવિતાઓના સર્જક, જેમને કુંવારી કલ્પનાનો ઘૂઘવતો મહાસાગર કહેવામાં આવે છે એવા માનવંતા કવિવર પદ્મશ્રી દાદ બાપુ એટલે કે શ્રી દાદુદાન મિશણનો સ્વર્ગવાસ થયો છે. આવા સહૃદય કવિ અને સર્જક એ પરમાત્માની પ્રતિકૃતિ જ કહેવાય, જેમણે પ્રકૃતિને પ્રેમ કર્યો છે, પ્રકૃતિના સાચા મૂલ્યો કવિતાના માધ્યમથી રજૂ કર્યા છે, તેવા કવિઓ પરમાત્માના વાહક હોય છે અને આવા કવિનો આત્મા પરમાત્મામાં લીન થાય છે . આમ કવિ શ્રી દાદ આપણી સૌની વચ્ચેથી વિદાય લઈને પરમાત્મા ના ચરણ માં ગયા છે. તેમનો આત્મા પરમાત્માના તેજ માં લય પામે તેવી તેમના ચાહક તરીકે પ્રાર્થના કરીએ છીએે કવિશ્રી દાદ બાપુ વર્ષ ૨૦૨૧ના પદ્મશ્રી એવોર્ડી હતા.