લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી વિવિધ સ્થળોએ કર્યો બળત્કાર:તિલકવાડાના ફતેપુરના યુવકની ધરપકડ
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલા ફતેપુર ગામનાં એક યુવાને ગામની જ એક સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી જતાં પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદનાં આધારે તપાસ કરતાં યુવકને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ યુવાને લગ્નની લાલચે સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હોવાથી પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સમગ્ર બનાવની વિગત મુજબ તિલકવાડાના ફતેપુર ગામે રહેતા 19 વર્ષિય કિરણ બારિયા નામના યુવાને ગામની જ 17 વર્ષની સગીરાને તેની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં લગ્નની લાલચ આપી ગત તારીખ 6 એપ્રિલનાં રોજ સગીરાનું અપહરણ કરી ગયો હતો. જે બાદ સગીરાના પિતાએ પોતાની દીકરીનું ગામના જ યુવાન કિરણે અપરહર કર્યું હોવાની ફરિયાદ તારીખ 10 એપ્રિલનાં રોજ તિલકવાડા પોલીસ મથકમાં નોંધાવી હતી.
પોલીસે સગીરાના પિતાની ફરિયાદનાં આધારે તપાસ કરતાં કિરણ બારિયા ઝડપી પાડી સગીરાને તેની ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી. જોકે પોલીસ તપાસમાં યુવાને સગીરાને અલગ અલગ સ્થળે લઈ જઈને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેના પગલે પોલીસે યુવાન સામે અપહરણ અને પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી સગીરાને લઈને અંબાજી તરફ પણ ગયો હતો.