ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી આઠ શખ્સોની ધરપકડ કરી
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના ગ્રામ્યવિસ્તારમાં જુગારની બદી ફુલી ફાલી છે ત્યારે ગાંધીનગર તાલુકાના પુન્દ્રાસણ ગામમાં રામપીર મંદિરની પાછળના ભાગે જુગારીઓ જુગારની બાજી લગાવીને બેઠા હતા તે દરમ્યાન પોલીસે દરોડો પાડતા દોડધામ મચી ગઇ હતી. એલસીબીની ટીમે અહીં દરોડો પાડીને આઠ જુગારીઓને પકડી પાડયા હતા. જેમની પાસેથી ૨૩ હજાર ઉપરનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
આમ તો ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિના દરમ્યાન જુગાર વધુ રમાતો હોય છે પરંતુ ઘણા સમયથી ગ્રામ્યવિસ્તારમાં જુગારની બદી વધી રહી છે આ સ્થિતિ વચ્ચે ગાંધીનગર એલસીબીની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પુન્દ્રાસણ ગામમાં આવેલા રામાપીર મંદિરની પાછળ ખુલ્લી જગ્યામાં જુગારીઓ જુગાર રમી રહ્યા છે. જેને લઇ પોલીસે ત્યાં દરોડો પાડયો હતો.અહીં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમવામાં આવી રહ્યો હતો ત્યાં પોલીસે દરોડો પાડતા દોડધામ મચી ગઇ હતી. પોલીસની આ કાર્યવાહી દરમ્યાન જુગાર રમતા પુન્દ્રાસણ ગામમાં રહેતા રમેશ રામાજી ઠાકોર, કાળાજી ધુળાજી ઠાકોર, નટવર પસાજી ઠાકોર, બળદેવ પ્રહલાદજી ઠાકોર, પ્રવિણ બળદેવજી ઠાકોર,અમરત બાબુજી ઠાકોર, શકરા પુંજાજી ઠાકોર અને ગોપાલ વિષ્ણુજી ઠાકોર પકડાયા હતા. આ ઉપરાંત પોલીસે બાજીમાં દાવ ઉપર લાગેલી રકમ સહિત જુગારીઓ પાસેથી કુલ ૨૩ હજાર ઉપરાંતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. ગ્રામ્યવિસ્તારમાં વધતી જતી બદીને પગલે સ્થાનિકો પરેશાન છે ત્યારે પોલીસે દરેક ગામમાં દિવસ રાત પેટ્રોલીંગ કરીને આવા જુગારધામો બંધ કરાવવા જોઇએ.