સુરતમાં લોકડાઉનનો ભંગ કરી સોસાયટીની બહાર લટાર મારવા નીકળેલ લોકો સામે તંત્રે કાર્યવાહી હાથ ધરી
સુરત:લોકડાઉનની સ્થિતિમાં વિના કારણે બહાર લટાર મારવા નીકળતા રાહદારીઓ, વાહનચાલકો અને દુકાન ચાલુ રાખી ટોળું એકત્ર કરતા દુકાનદારો સામે કાર્યવાહી કરતી સુરત પોલીસે હવે સોસાયટી કે શેરી મહોલ્લામાં ટોળે વળી બેસતા લોકો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે.
કતારગામ પોલીસે ગત બપોરે રણછોડનગર સોસાયટીના ગેટ પાસે ટોળું વળી બેસેલા પાંચ વ્યક્તિ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ પ્રકારની કામગીરી અમરોલી અને પાંડેસરા પોલીસે પણ કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન જાહેર કરાયું છે તેમ છતાં લોકો વિના કારણે બહાર રખડવા નીકળે છે. જયારે કેટલાક દુકાનદારો આવશ્યક ચીજ વસ્તુનું વેચાણ કરતા ન હોવા છતાં દુકાન ચાલુ રાખી લોકોનું ટોળું એકત્ર કરે છે.